૨૦૦૪માં સૌરાષ્ટ્રમાં બનેલાં અતિચકચારી નીલેશ રૈયાણી હત્યાકેસમાં ગુજરાત હાઇકોર્ટે ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારી છે. તેમની સાથે અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ પ્રવીણસિંહ ઊર્ફ ભોગાત રાણાને કલમ ૩૦૨ના ગુનામાં આજીવન કેદની સજા ફટકારાઇ છે.ગોંડલ પંથકના આ બનાવમાં રાજકોટની ફાસ્ટટ્રેક કોર્ટમાં જયરાજસિંહ સહિતના ૧૫ આરોપીઓ નિર્દોષ છૂટી ગયાં હતાં. અને એક આરોપી સિરાજ પઠાણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને હાઇકોર્ટ દ્વારા દોષિત જાહેર થતાં પોતાનું રાજીનામું આપવું પડશે અને તેઓ ચૂંટણી પણ લડી શકશે નહીં. હાઇકોર્ટે જાડેજાને સુપ્રીમ કોર્ટમાં જવા ૪૫ દિવસનો સમય આપ્યો છે.વિક્રમસિંહની હત્યાનો બદલો લેવા પૂર્વયોજિત કાવતરું કરી ૨૦૦૪માં ગોંડલના વાછરા ગામનો નીલેશ રૈયાણી અન્ય લોકો સાથે જીપમાં જઇ રહ્યો હતો ત્યારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેનું મોત નીપજ્યું હતું. નીચલી કોર્ટમાં શંકાનો લાભ આપી આરોપીઓને છોડી મૂકવામાં આવ્યાં હતાં.