સુત્રાપાડા ખાતે ગીર સોમનાથનાં જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી કરવામાં આવશે. જેમાં માર્ચપાસ્ટ, શાળાનાં બાળકો દ્રારા પ્રભાતફેરી તથા દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સુત્રાપાડા સ્થિત શ્રી બી.એમ.બારડ ટ્રસ્ટ હાઈસ્કુલ ગ્રાઉન્ડમાં સવારે ૯ કલાકે પાણી પુરવઠા અને નાગરિક ઉડ્યન રાજ્યમંત્રીશ્રી જશાભાઈ બારડના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. તેઓશ્રી માર્ચપાસ્ટનું પણ નિરીક્ષણ કરશે. જિલ્લા કલેકટરશ્રી ડો.અજયકુમારના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી પ્રદિપસિંહ રાઠોડ, મામલતદારશ્રી ચાવડા સહિત સુત્રાપાડા તાલુકા વહિવટીતંત્રના અધિકારીઓ દ્રારા સ્વાતંત્ર્ય પર્વ ઊજવણીનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રમત-ગમત સહિત વિવિધ પ્રવૃતિઓ વિજેતા થયેલાઓને પ્રોત્સાહીત કરાશે.