ભૂતકાળમાં જગદ્ગુરૂ તરીકે ઓળખાતા ભારતવર્ષની ગરીમા ફરીથી પ્રસ્થાપિત થાય, ભારતીય સંસ્કૃતિના ઉચ્ચત્તમ મૂલ્યો નાગરીકોમાં દ્રઢ થાય, અને આવનારી પેઢી ભારતીય પરંપરા, સંસ્કૃતિ, આધ્યાત્મિક માહાત્મ્ય સાથે કલા વારસાને જાણે-પીછાણે અને સમજી શકે તે માટે દર વર્ષે ગાયત્રી પરિવાર દ્વારા શાળા/મહાશાળાઓમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.
શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સને ૧૯૯૪થી આયોજિત થઇ રહી છે. ડાંગ જિલ્લામાં આ પરીક્ષાઓના આયોજન સાથે ઉચ્ચત્તમ નૈતિમ મૂલ્યોનું પ્રસ્થાપન અને તેના જતન માટે નવસારીના ગાયત્રી પરિવારે ડાંગ જિલ્લાને દત્તક જિલ્લા તરીકે સ્વીકારી, અહીં તેમની પ્રવૃત્તિઓનો વ્યાપ વધાર્યો છે.
શાંતિકુંજ દ્વારા આજદિન સુધી ભારતવર્ષમાં રર રાજ્યોના ૪૫૦ જિલ્લાઓમાં આયોજિત કરાયેલી આ પરીક્ષામાં ૬ લાખથી વધારે શાળાઓના પ કરોડથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ ચુક્યા છે. ધોરણ-પ થી કોલેજ કક્ષા સુધી ઓ.એમ.આર. પદ્ધતિથી લેવાતી આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ ઉપરાંત તાલુકા, જિલ્લાકક્ષાએ વિજેતા થતા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવતુ હોય છે. આ વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા, રાજ્ય, અને રાષ્ટ્રીય કક્ષાની વ્યક્તિત્વ વિકાસ શિબિરનો પણ લાભ આપવામાં આવે છે. જ્યારે રાજ્યકક્ષાએ પ્રથમ આવનાર વિદ્યાર્થીને વિશેષ શિષ્યવૃત્તિ પણ એનાયત કરાતી હોય છે.
ડાંગ જિલ્લામાં આગામી તા.૯/૯/ર૦૧૭નાં રોજ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું સંસ્થા દ્વારા આયોજન કરાયું છે. જેમાં જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ, શાળાઓ ભાગ લે તે માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. આ પરીક્ષા અંગેની વધુ માહિતી અને માર્ગદર્શન માટે ગાયત્રી પરિવાર-નવસારીના શ્રી મનુભાઇ પટેલ-૯૭૧૨૨ ૫૯૬૨૧, નવસારી શક્તિપીઠ-બંદર રોડ-૯૪૨૯૭ ૩૯૬૩૩ ઉપર સંયોજક શ્રી કાંતિભાઇ, હિતેશભાઇ, પ્રકાશભાઇ અને મોહનભાઇનો સંપર્ક સાધી શકાય છે. ડાંગ ખાતે સરકારી માધ્યમિક શાળા-આહવાના શ્રી ડી.બી.મોરેનો (૯૪૨૭૧ ૭૩૩૯૧) પણ આ માટે સંપર્ક કરી શકાય છે.