ઓર્ગેનિક ખાતરનાં સંશોધન, ઉત્પાદન અને ઉત્પાદન માટે આપવામાં આવતી સહાય અંગે લોકસભામાં પૂછાયેલ એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ જણાવેલ હતુ કે, ઓર્ગેનિક ખાતરને ખેતીનો પાયો બનાવવા તથા તેનો વ્યાપ વધારવા સરકાર સક્રિય પ્રયત્નો કરી રહેલ છે તથા તેના ઉત્પાદન માટે નાણાંકીય સહાય પણ કરી રહેલ છે.
આ અંગે મંત્રીશ્રીએ જણાવેલ હતુ કે, ‘‘ઇન્ડીયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ’’ એ વિવિધ ઓર્ગેનિક ખાતર જેવા કે, એનરિચ કમ્પોસ્ટ, વર્મીકમ્પોસ્ટ, બાયો એનરિચ કમ્પોસ્ટ અને સીટી કમ્પોસ્ટનાં ઉત્પાદન માટે વિવિધ ટેકનીક વિકસાવેલ છે. ઓર્ગેનિક ખાતરનાં ઝડપી કમ્પોસ્ટીંગ માટે માઇક્રોબ્સ પણ વિકસાવવામાં આવેલ છે. સોઇલ બાયોડાયવર્સીટી-બાયોફર્ટીલાઇઝરનાં નેટવર્કિઁગ પ્રોજેક્ટ હેઠળ ઈન્સ્ટીટ્યુટ દ્વારા વિવિધ ઓર્ગેનિક અને બાયોફર્ટીલાઇઝર વિકસાવવામાં આવેલ છે. ઉપરાંત વિવિધ ઓર્ગેનિક ખાતરનાં ઉપયોગ અને ઉત્પાદન માટે તાલીમ અને નિદર્શનનું પણ આયોજન કરે છે.
કમ્પોસ્ટ ખાતરનાં ઉત્પાદન માટે સરકાર દ્વારા ‘ઇન્ટીગ્રેટેડ મેન્યોર મેનેજમેન્ટ ઓફ પરંપરાગત કૃષિ વિકાસ યોજના’ હેઠળ ફોસ્ફેટ રીચ મેન્યુઅરનાં વપરાશ માટે રૂા.૧૦૦૦/- પ્રતિ એકર, વર્મી કમ્પોસ્ટનું યુનિટ બનાવવા માટે રૂા.૫૦૦૦/- પ્રતિ યુનિટ, ઓર્ગેનિક એન્ડ INM ઘટક હેઠળ જુદા-જુદા ઓર્ગેનિક ખાતરનાં વપરાશ માટે પ્રતિ એકર રૂા.૫૦૦૦/- લેખે ર એકર સુધી સહાય આપવામાં આવે છે. એગ્રો વેસ્ટ, વેજીટેબલ વેસ્ટ વગેરે માંથી ઓર્ગેનિક ખાતર બનાવવા રાજય સરકાર તથા તેની એજન્સીને રૂા.૧૯૦ લાખ પ્રતિ યુનિટ તથા વ્યક્તિગત ઉત્પાદકને પ્રોજકેટ કોસ્ટનાં ૩૩% ખર્ચ સુધી રૂા.૬૩ લાખની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે. વર્ષ ૨૦૧૫-૧૬ દરમ્યાન દેશ કક્ષાએ રૂરલ કમ્પોસ્ટનું ૨૧૯.૯૪ લાખ ટન, FYM-૧૪૦૨.૬૪ લાખ ટન, સીટી કમ્પોસ્ટ- ૭૯.૯૫ લાખ ટન, ઓર્ગેનિક મેન્થોર ૩૧.૧૭ લાખ ટન, વર્મી કમ્પોસ્ટ- ૫૯૧.૭૯ લાખ ટન, અન્ય મેન્થોર-૯૪.૭૩ લાખ ટન, ગ્રીન મેન્થોર ૩૨૭.૮૪ લાખ ટન એમ કુલ ૨૭૪૮.૦૬ લાખ ટન ખાતર ઉપલબ્ધ બન્યુ હતું.