Aapnu Gujarat
રાષ્ટ્રીય

લોકસભાની ટિકિટ ન મળતા ડો. હર્ષવર્ધને રાજકારણ છોડ્યું

લોકસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના 195 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે. આ યાદીમાં ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનું નામ ન હોવાના કારણે હર્ષવર્ધને રાજકારણને બાય બાય કહી દીધી છે. તેઓ હવે દિલ્હીના ક્રિષ્ના નગર ખાતે પોતાના ENT ક્લિનિકમાં પરત આવી જવાના છે. ડો. હર્ષવર્ધન છેલ્લે ચાંદની ચોકમાંથી ચૂંટાયા હતા અને આ વખતે પણ તેમને ટિકિટ મળવાની અપેક્ષા હતી. પરંતુ આ વખતે ભાજપે પ્રવિણ ખાંડેવલાલને ચાંદની ચોકની ટિકિટ આપી છે.

કેબિનેટમાં થયેલા ફેરફારો વખતે હર્ષવર્ધનની જગ્યાએ ડો. મનસુખ માંડવિયાને આરોગ્યમંત્રાલય સોંપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ડો. હર્ષ વર્ધનની સક્રિયતા ઘટી ગઈ હતી. તેના કારણે પહેલેથી એવી વાતો ચાલતી હતી કે તેમને આ વખતે લોકસભાની ચૂંટણી માટે ટિકિટ નહીં મળે.

ડો. હર્ષ વર્ધને જાહેરાત કરી છે કે તેઓ રાજકારણને અલવિદા કહી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજકારણમાં મારી 30 વર્ષની કારકિર્દી ઘણી સફળ રહી છે. આ દરમિયાન હું પાંચ વખત વિધાનસભાની ચૂંટણી અને બે વખત સંસદની ચૂંટણી જીત્યો હતો. મેં હંમેશા બહુ જોરદાર માર્જિનથી વિજય મેળવ્યો છે તથા પક્ષમાં અને સરકારમાં મહત્ત્વના હોદ્દા સંભાળ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારમાં મહત્ત્વના હોદ્દા પર રહ્યા પછી હું મારા મૂળ તરફ પાછો આવ્યો છું.

ડો. હર્ષવર્ધને લખ્યું છે કે આજથી 50 વર્ષ અગાઉ હું કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજમાં જોડાયો ત્યારે લોકોની સેવા કરવી એ મારો ધ્યેય હતો. હું ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરવા માટે આ પ્રોફેશનમાં આવ્યો હતો. અંદરખાનેથી હું એક સ્વયંસેવક હતો અને દીનદયાળ ઉપાધ્યાયની નીતિમાં માનતો હતો. આરએસએસના આગ્રહના કારણે હું રાજકારણમાં આવ્યો. ગરીબી, બીમારી અને અજ્ઞાન- આ ત્રણ દુશ્મનોનો સામનો કરવા માટે હું રાજકારણમાં આવ્યો હતો.

હું દિલ્હીનો આરોગ્ય મંત્રી રહ્યો હતો અને બે વખત કેન્દ્રિય આરોગ્યમંત્રી પણ બન્યો હતો. આ દરમિયાન મને પોલિયો મુક્ત ભારત અભિયાનમાં જોડાવાની તક મળી હતી. કોવિડના પ્રથમ અને બીજા તબક્કા વખતે પણ કરોડો દેશવાસીઓની સેવા કરવાની તક મળી હતી.

તેમણે આ તમામ પ્રગતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના સાથીદારો અને કાર્યકરોનો આભાર માનીને જાહેરાત કરી છે કે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે અને હવે ક્રિષ્ના નગર ખાતે ઈએનટી ક્લિનિક મારી રાહ જોઈ રહ્યું છે.

Related posts

કલમ ૩૫એ ઉપર સુનાવણી ટળી

aapnugujarat

ગઠબંધનની સરકાર બની તો ૬ દિવસ અલગ-અલગ પીએમ અને રવિવારે રજા : અમિત શાહ

aapnugujarat

Speeding bus fell into a gorge in Nandurbar, 5 died

editor
UA-96247877-1