Aapnu Gujarat
બિઝનેસ

અમદાવાદથી અયોધ્યાના વિમાન ભાડા આસમાને પહોંચ્યા

અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાના અભિષેકનો એક ઐતિહાસિક પ્રસંગ યોજાવાનો છે જેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. જેના કારણે અયોધ્યાની ફ્લાઈટના ભાડા પણ આસમાને પહોંચી ગયા છે. 22મી જાન્યુઆરીએ યોજાનાર ભવ્ય કાર્યક્રમ સાથે અમદાવાદથી અયોધ્યા સુધીની ફ્લાઇટની કિંમતો 10,000 રૂપિયાથી વધીને 30,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 18મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી દરમિયાન ભાવ વધારો ખાસ કરીને નોંધપાત્ર છે, જે ભક્તોના તીવ્ર ઉત્સાહને દર્શાવે છે.

દાયકાઓની લડાઈ અને સંઘર્ષ બાદ અંતે રામ મંદિરનું લાખો ભક્તોનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે લોકોનો ઉત્સાહ પણ ચરમસીમા પર છે. હાલમાં સમગ્ર દેશમાં તેની ચર્ચા થઈ રહી છે. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાંથી ભક્તોને આકર્ષી રહ્યો છે. 22મી જાન્યુઆરીએ નિર્માણાધીન શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિશ્વભરના ભક્તો સાથે ઘણા ગુજરાતીઓ જોડાવા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓ ત્યાં હાજર રહેવાની છે. જેમાં રાજકીય હસ્તીઓથી લઈને બિઝનેસ અને ફિલ્મ તથા રમતજગતની હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાતીઓ પણ આ ઐતિહાસિક પ્રસંગનો ભાગ બનવા માટે આતુર છે જેના કારણે 16મી અને 22મી જાન્યુઆરી વચ્ચેના હવાઈ ભાડામાં ઉછાળો નોંધાયો છે.

ગુજરાતીઓ અને અમદાવાદવાસીઓમાં ગજબનો ઉત્સાહ છે અને માંગને જોતાં અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઈટમાં વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિગો એરલાઈન દ્વારા તાજેતરમાં અમદાવાદથી અયોધ્યા માટે અઠવાડિયામાં ત્રણ વખત (મંગળવાર, ગુરુવાર અને શનિવાર) નવી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ રૂટ 11મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં વન-વે ભાડું 3,999 રૂપિયા હતું પરંતુ ટિકિટોની માંગને જોતાં ભાડમાં મોટો વધારો નોંધાયો છે.

ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સ્ત્રોતો વિવિધ ખર્ચ સાથે કોમ્પલેક્સ ફ્લાઈટ શેડ્યૂલ જણાવે છે. 16મી, 18મી, 20મી અને 22મી જાન્યુઆરીએ સીધી ફ્લાઈટ્સ હશે જ્યારે વૈકલ્પિક દિવસોમાં દિલ્હી થઈને કનેક્ટિંગ ફ્લાઈટ્સ હશે. આ માટે ટિકિટનો દર 7,000 રૂપિયાથી લઈને 30,000 રૂપિયા સુધીનો છે. જેમાં ઈવેન્ટના પહેલાના દિવસોમાં સૌથી વધુ વધારો જોવા મળે છે. મર્યાદિત ઉપલબ્ધતાએ ઘણા લોકો દિલ્હીમાં લેઓવર સાથે લાંબા, વધુ ખર્ચાળ રૂટ પસંદ કરવા મજબૂર છે.

ટ્રેન્ડને હાઈલાઈટ કરતાં ટ્રાવેલ કન્સલ્ટન્ટ મનીષા ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “22મી જાન્યુઆરીએ શ્રદ્ધાળુઓનો ધસારો સૌથી વધારે રહેશે તેવી અપેક્ષા છે. જોકે, ઘણા માને છે કે ભીડ એટલી વધારે હશે કે સમારંભના સાક્ષી બનવું મુશ્કેલ બની શકે છે. તેથી લોકો 22મી જાન્યુઆરી પછીના સપ્તાહના અંતે અયોધ્યાની મુલાકાતનું આયોજન કરે તેવી શક્યતા છે, ખાસ કરીને 26મી, 27મી અને 28મી જાન્યુઆરીએ જેના કારણે હવાઈ ભાડામાં વધુ વધારો થઈ શકે છે.”

Related posts

૨૪ કલાકમાં ૯૮૦ ફ્લાઈટ્‌સ ઓપરેટ કરી : મુંબઈ એરપોર્ટનો નવો વિક્રમ

aapnugujarat

તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૩૨૪ પોઇન્ટ ઘટ્યો

aapnugujarat

જીએસટીથી કેન્દ્રની આવક વધી રાજ્યોની આવકમાં ફેર ન પડ્યો

aapnugujarat
UA-96247877-1