ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી નિયમિત જામીન અરજીને ફગાવી દીધી છે. ઈસ્કોન ફ્લાઈયઓવર બ્રિજ અકસ્માત 20 જુલાઈના દિવસે થયો હતો. જેમાં 9 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ દરમિયાન તથ્ય પટેલની સામે ઓવરસ્પિંડગ અને બેદરકારી ભર્યા ડ્રાઈવિંગને કારણે કડક પગલાં ભરવા માગ ઊઠી હતી. તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની આગલી સાંજે ધરપકડ કરવામાં આવી હતી. તેવામાં તથ્ય પટેલ સામે IPCની કલમ 304 અને 308 હેઠળ તેના માટેના પ્રયાસનો તેમજ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ, લોકોને નુકસાન પહોંચાડવા અને મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ હેઠળ અન્ય આરોપો સાથે આરોપ મૂકવામાં આવ્યો છે.
તથ્ય વતી એવી રજૂઆત કરવામાં આવી હતી કે અગાઉ થયેલા અકસ્માતને કારણે મોડીરાત્રે બ્રિજ પર લોકો હાજર હતા. સામાન્ય રીતે, વ્યક્તિ આ સમયે પુલ પર ભારે ભીડ હોય તેની અપેક્ષા રાખતો નથી. તે તેની બેદરકારીભરી જવાબદારીથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો ન હતો. તેનો કેસ નશામાં પીને ડ્રાઇવિંગનો કે હિટ એન્ડ રનનો કેસ નહોતો. તેના વકીલે કોર્ટને આ કેસને દોષિત હત્યાના બદલે બેદરકારી તરીકે ધ્યાનમાં લેવા વિનંતી કરી હતી.
નોંધનીય છે કે તથ્ય પટેલ બેદરકારીભર્યું ડ્રાઈવિંગ અગાઉ પણ કરી ચૂક્યો છે. તેના સિંધુભવન રોડ પરના અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેના પરિણામે તથ્ય પટેલની હરકતોની સામે કડક એક્શન લેવાય તેવું પણ લાગી રહ્યું છે.