એક વર્ષ અગાઉ આખા ગુજરાતને હચમચાવી દેનારી મોરબી પુલ દુર્ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મોરબીનો ઝુલતો પુલ રિપેર કરનાર ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ હાલમાં જેલમાં છે ત્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું છે કે જયસુખ પટેલને જામીન મળે તેમાં તેમને વાંધો નથી. ગુજરાત સરકારે જયસુખ પટેલને છોડવા કે જેલમાં રાખવા તેનો નિર્ણય હાઈકોર્ટ પર છોડી દીધો છે. હાઈકોર્ટ આ વિશે ચુકાદો આગામી સુનાવણી સુધી અનામત રાખ્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જણાવ્યું કે જયસુખ પટેલ જેલમાં રહે તો તેમના બિઝનેસને મોટી અસર થઈ શકે છે. આ ઉપરાંત તેઓ બિઝનેસમેન હોવાના કારણે દેશ છોડીને ભાગી જાય તેમ નથી. તેથી તેમને જામીન આપવા સામે સરકારને વાંધો નથી. સરકારે કહ્યું કે ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલ સામે કાર્યવાહી લાંબી ચાલે તેમ છે અને અનેક આરોપીઓની ઉલટ તપાસ કરવાની છે. તેથી જયસુખ પટેલને શરતોને આધિન જામીન આપવામાં આવે તો તેમને વાંધો નથી.
ઓક્ટોબર 2022માં મોરબીમાં મચ્છુ નદી પર ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકો માર્યા ગયા હતા અને પુલ રિપેર કરનાર ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ ફરાર થઈ ગયા હતા. 31 જાન્યુઆરીએ પટેલે આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારથી જેલમાં છે. આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો જયસુખ પટેલને જામીન આપવામાં આવે તેનો વિરોધ કરે છે.
આ દરમિયાન હાઈકોર્ટે આ કેસમાં છ વ્યક્તિઓને જામીન આપ્યા છે. તેમાં ત્રણ સિક્યોરિટી ગાર્ડ, બે બૂકિંગ ક્લાર્ક અને ઓરેવા ગ્રૂપ માટે કામ કરતા એક મેનેજરનો સમાવેશ થાય છે. પીડિતોના એડવોકેટ રાહુલ શર્માએ જણાવ્યું કે આ કેસમાં 372 સાક્ષીઓ છે અને ઘણા બધા બિનજરૂરી સાક્ષીઓ પણ ઉમેરવામાં આવ્યા છે જેથી આ કેસમાં બહુ સમય લાગશે તેમ કહીને આરોપી માટે જામીન માંગી શકાય. કોર્ટે કહ્યું કે તપાસની પ્રક્રિયા સામે કોઈ પણ વાંધો હોય તો તમે અલગથી પિટિશન કરી શકો છો. જામીન અરજીમાં આ માટે કોઈ સ્કોપ નથી.