વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મન કી બાતના ૧૦૭મા એપિસોડમાં ૨૬/૧૧ના મુંબઈ હુમલામાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત ડેસ્ટિનેશન વેડિંગનો ઉલ્લેખ કરતાં તેમણે લોકોને વિદેશ જવાને બદલે ભારતમાં જ લગ્ન કરવાની અપીલ કરી હતી.
મુંબઈની તાજ હોટલ પર થયેલા આતંકવાદી હુમલાના દિવસને યાદ કરતાં પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું, “આ દિવસે દેશમાં સૌથી જઘન્ય આતંકવાદી હુમલો થયો હતો. જો કે ભારતની એ તાકાત છે કે આપણે તે હુમલામાંથી બહાર આવ્યા અને હવે પૂરી હિંમત સાથે આતંકવાદને કચડી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. કેટલાક વેપારી સંગઠનોનું અનુમાન છે કે, આ વેડિંગ સિઝનમાં વેપારીઓ ૫ લાખ કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કરી શકે છે. લોકોને અપીલ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે લગ્ન સંબંધિત ખરીદી કરતી વખતે માત્ર ભારતમાં જ બનેલી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના કાર્યક્રમમાં લોકોને ડિજિટલ પેમેન્ટને લઈને ખાસ અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે આ તહેવારની સિઝનમાં રોકડ ચૂકવીને સામાન ખરીદવાનું ચલણ ઘટી રહ્યું છે. લોકો વધુને વધુ ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે. પીએમએ લોકોને અપીલ કરતા કહ્યું કે તેઓએ એક એવી યોજના નક્કી કરવી જોઈએ કે જેના હેઠળ તેઓએ એક મહિનામાં માત્ર ડિજિટલ માધ્યમથી જ ચુકવણી કરવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે ભારતના યુવાનો દેશ માટે નવી સફળતાઓ લાવ્યા છે. પીએમએ કહ્યું કે વર્ષ ૨૦૨૨માં ભારતની પેટન્ટ અરજીઓમાં ૩૧ ટકાથી વધુનો વધારો થયો છે.
પાછલી પોસ્ટ