આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસથી જ અંબાજી અને પાવાગઢમાં ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટી પડી છે. ભક્તો મોટી સંખ્યામાં વહેલી સવારથી માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. પ્રસિદ્ધ પાવાગઢમાં મધ્યપ્રદેશથી ભક્તો જ્યોત લેવા માટે આવતા હોય છે. પાવાગઢમાં વહેલી પરોઢથી ભક્તોની ભીડ જોવા મળી હતી. પાવાગઢ ડુંગર પર પગ મુકવાની જગ્યા ના રહે એ પ્રમાણે ભક્તોની ભીડ જામી હતી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ અંબાજી મંદિરે ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
પ્રથમ દિવસ હોઈ ભક્તો નવરાત્રીની શરુઆતે દર્શન કરવા માટે માતાજીના મંદિરોમાં પહોંચતા હોય છે. માતાજીના તહેવારને લઈ આશિર્વાદ લેવા માટે રાતભરથી મંદિરો તરફ શ્રદ્ધાળુઓની ભીડ શરુ થતી હોય છે. અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીનુ આયોજન કરવામાં આવતુ હોય છે. આ વર્ષે મહિલાઓ જ ચાચર ચોકમાં ગરબા ગાઈ શકશે. જ્યારે પુરુષોએ પીત્તળ ગેટ પાસે વ્યવસ્થા કરેલ ગરબા સ્થળ પર ગાવાનુ રહેશે. નવરાત્રીમાં ચાચર ચોકમાં ગરબા ગાવા માટે દૂર દૂરથી ભક્તો આવી પહોંચતા હોય છે. નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢના માંચીથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી પણ આવતા ભક્તો વિશેષ આસ્થા સાથે માં મહાકાળીના દર્શને આવે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આવતા માઇ ભક્તો અમાસના દિવસે માતાજીના મંદિરમાંથી અખંડ જ્યોત પોતાના માતૃ વતન લઈ જતા હોય છે અને ત્યારબાદ પોતાના ગામ અને પોતાના ઘરે નવરાત્રી પર્વ દરમિયાન માતાજીની ઉપાસના કરતા હોય છે. જેથી છેલ્લા બે દિવસથી અહીં બે લાખથી ઉપરાંત માય ભક્તોએ માતાજીના મંદિર ખાતે આવી અખંડ જ્યોત લઈ પોતાના માટે વતન જવા રવાના થયા હતા. અમાસના દિવસે અહીં આવેલા ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે જ માતાજી દ્વારા પોતાની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાનું પણ જણાવ્યું હતું.
હાથમાં તલવાર અને ખડગ સહિતના શસ્ત્રો સાથે માં મહાકાળીના વેશમાં આવતા ચોંકાવનારા કરતબો અને શ્રદ્ધાના પુરાવા આપતા જોવા મળે છે. મંદિર પરિસર સહિત પગથિયાં સુધી જાણે હૈયેથી હૈયું દળાતું હોય તેવા દ્રશ્યો પણ મંદિરના ગર્ભ ગૃહમાં જોવા મળ્યા. તો બીજી તરફ દર્શન માટે લાંબી કતારો પણ જોવા મળી. તો દૂર દૂર થી આવેલા ભક્તો પણ માં મહાકાળી ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.