રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પ્રધાન ઇશ્વરભાઇ પરમારે કહ્યુ હતુ કે રાજ્ય સરકાર પછાત વર્ગોના કલ્યાણ માટે પૂર્ણ રીતે સંવેદનશીલ છે અને ગંભીરતાપૂર્વક કામ કરી રહી છે. ગાંધીનગર ખાતે વિકસતી જાતિ કલ્યાણ ખાતાના અધિકારીઓની કામગીરીની સમીક્ષા બેઠકના અધ્યક્ષસ્થાનેથી મંત્રીએ વધુમાં જણાવ્યું હુતં કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યદક્ષ નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની કુલ વસતીના આધારે ૬૦ ટકા જેટલા લોકોને આવરી લઇ પ્રતિવર્ષ રૂપિયા ૧૧૦૦ કરોડ જેટલો બજેટ ખર્ચ કરવામાં આવે છે, જે વિકસતી જાતિના કલ્યાણક્ષેત્રે રાજ્ય સરકારની શ્રેષ્ઠ કામગીરી દર્શાવે છે.બેઠકમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (બક્ષીપંચ), આર્થિક પછાતવર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્ત જાતિની યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, ખાતાની કામગીરીના ૯૦ ટકા લક્ષ્યાંકો પૂર્ણ થાય છે ત્યારે પ્રતિવર્ષ પછાત વર્ગો માટેની ખાતાની કલ્યાણકારી યોજનાઓમાં ૧૦૦ ટકા સિદ્ધિ હાસલ થાય છે ત્યારે આ વર્ષે પણ આ પરંપરા ચાલુ રહેશે. આદર્શ નિવાસી શાળાઓનું પરિણામ ૯૫ ટકાથી ૧૦૦ ટકા જેટલું ઘણું ઉંચુ આવે છે જે અંગે મંત્રીએ ખુશી વ્યક્ત કરી હતો. વિકસતી જાતિ કલ્યાણ ખાતા દ્વારા ગુજરાતના છેવાડાના લોકોના ઉત્કર્ષ માટેની યોજનાઓના અમલ અને સહાય પુરી પાડવાની કામગીરી અંગે ભૂતકાળમાં રાજ્યની જાહેર હિસાબ સમિતિએ ખાતાને અભિનંદન આપેલ હતા તેમજ આ ખાતાની સુંદર કામગીરી બદલ વડાપ્રધાન એવોર્ડ માટે નામાંકન પણ થયેલ હતું અને વિધાનસભાની પછાતવર્ગની સમિતિએ પણ રાજ્યમના ઉંડાણના અતિ પછાત વિસ્તારોમાં પછાત વર્ગ માટે કરેલ કામગીરીની નોંધ લઇ અભિનંદન આપેલ જેની મંત્રીએ સહર્ષ નોંધ લીધી હતી. આ ખાતું પછાતવર્ગ માટે કામ કરે છે અને અરજદારો મહદઅંશ અંતરિયાળ ગામોમાંથ આવતા હોઈ અને આધુનિક ટેકનોલોજીના પુરતા જાણકાર ન પણ હોય તો તેઓ પ્રત્યે પુરતી સંવેદનશીલતા રાખવા અને હર હમેશા મદદ માટે તત્પરતા રાખવા પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો.