ઉત્તર ભારતમાં હાલ ચાર ધામ યાત્રા અને અમરનાથ યાત્રા ચાલી રહી છે. ગુજરાતીઓ સહિત અનેક શ્રદ્ધાળુઓ ચારધામ અને અમરનાથ યાત્રા માટે પહોંચ્યા છે. ત્યારે કેદારનાથમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કેદારનાથ યાત્રાના માર્ગ પર આધાર શિબિર ગૌરીકુંડમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન બુધવારે એક ભૂસ્ખલન થયું હતું. જેની લપેટમાં આવી જવાથી એક જ પરિવારના ત્રણ બાળકો દટાયા હતા. જેમાંથી બે બાળકોનાં કરુણ મોત નીપજ્યા હતા. મહત્વનું છે કે, ગૌરીકુંડમાં ભૂસ્ખલનની પાંચ દિવસમાં બીજી ઘટના છે. ત્યારે બાળકોનાં મોત બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
રુદ્રપ્રયાગના ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજર નંદન સિંહ રજવારે જણાવ્યું કે, ગૌરીકુંડમાં હેલીપેડની પાસે આવેલી ઝોંપડી ઉપરના પહાડમાં ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલન થતાં તેના કાટમાળ નીચે એક જ પરિવારના ચાર સભ્યો દટાઈ ગયા હતા. એ પછી જાનકી નામની મહિલાને બચાવી લેવામાં આવી હતી. જ્યારે ત્રણ બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જે બાદ બે બાળકોનાં કરુણ મોત નીપજ્યા હતા.