અદાણી વિલ્મર આવશ્યક કિચન આઈટમ્સ વેચે છે જેમાં ખાદ્ય તેલ, ઘઉંનો લોટ, ચોખા, કઠોળ અને ખાંડનો સમાવેશ થાય છે. 1999માં અદાણી જૂથ અને વિલ્મર ગ્રૂપ વચ્ચે સંયુક્ત સાહસની રચના કરવામાં આવી હતી. હાલમાં અદાણી વિલ્મર દેશના 10 રાજ્યોમાં 23 પ્લાન્ટ ધરાવે છે. ખાદ્યતેલ બનાવતી કંપની ફોર્ચ્યુન તેની મુખ્ય બ્રાન્ડ છે.
જૂન 2023માં સમાપ્ત થયેલા પ્રથમ ક્વાર્ટરમાં અદાણી વિલ્મરે 79 કરોડની કુલ ખોટ નોંધાવી હતી. તેનો EBITDA 71 ટકા ઘટીને 130 કરોડ થયો હતો જે ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 443 કરોડ રૂપિયા હતો. પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોસ નફો 21 ટકા ઘટીને 1178 કરોડ થયો હતો જે ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 1494 કરોડ હતો.
ચાલુ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ વિરુદ્ધ નેગેટિવ રિપોર્ટ આપવામાં આવ્યો ત્યાર પછી અદાણીની માર્કેટ વેલ્યૂમાં જંગી ઘટાડો થયો છે. આ વર્ષમાં અદાણી જૂથ સાથે સંકળાયેલા શેરોની વેલ્યૂમાં 147 અબજ ડોલરનું ધોવાણ થયું છે. આ આરોપોના કારણે અદાણી જૂથે તેના એફપીઓના એક દિવસ અગાઉ 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર રદ કરવી પડી હતી.
અદાણી ગ્રુપે અદાણી વિલ્મરમાંથી હિસ્સો વેચવા તૈયારી કરી
એક લેટેસ્ટ અહેવાલ પ્રમાણે અદાણીએ અદાણી વિલ્મરમાં તેનો 44 ટકા હિસ્સો વેચવા વિચારણા શરૂ કરી છે જેની વેલ્યૂ 6.17 અબજ ડોલર છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમનો પરિવાર પર્સનલ રીતે માઈનોરિટી હિસ્સો જાળવી રાખે તેવી શક્યતા છે. બીજી તરફ વિલ્મર પોતાનો હિસ્સો જાળવી શકે છે. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝિસ પણ તેનો સ્ટેક જાળવી રાખે તેવી શક્યતા છે. આ માટેની વાતચીત હમણાં શરૂઆતના તબક્કામાં છે.