‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) શોમાં આશરે 14 વર્ષ સુધી ‘તારક મહેતા’ની ભૂમિકામાં જોવા મળેલા શૈલેષ લોઢાની (Shailesh Lodha) પ્રોડ્યૂસર આસિત કુમાર મોદી (Asit Kumarr Modi) સામે તેમના બાકી પેમેન્ટની ચૂકવણી ન કરવા બદલ કરેલા દાવામાં જીત થઈ છે. આ વર્ષની શરૂઆતમાં મે મહિનામાં ચૂકાદો આવી ગયો હતો, પરંતુ તેનો ખુલાસો થયો છે. અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સને જાણવા મળ્યું છે કે, શૈલેષ લોઢાને આસિત મોદી પાસેથી 1,05,84,000 રૂપિયા જેટલી મોટી રકમ લેવાની બાકી નીકળતી હતી અને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા તેમને ચૂકવણી કરવામાં આવી રહી છે. એક્ટરે એપ્રિલ 2022માં TMKOCને અલવિદા કહ્યું હતું અને આ વર્ષની શરૂઆતમાં તેણે લાંબા સમયથી બાકી રહેલા પેમેન્ટને ક્લીયર કરવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલનો (NCLT) સંપર્ક કર્યો હતો.
આસિત મોદી સામેનો દાવો શૈલેષ લોઢા જીત્યા
ઈન્સૉલ્વન્સિ અને બેંક્રપ્ટસિ (નાદારી) કોડની કલમ 9 હેઠળ, મામલાની વર્ચ્યુઅલ સુનાવણી કરવામાં આવી હતી. પક્ષકારોના વકીલ દ્વારા સંમતિની શરતો અનુસાર પક્ષકારો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું. જ્યારે શૈલેષ લોઢાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે, તેઓ ચુકાદાથી ખુશ છે અને એનસીએલટીના આભારી છે. ‘આ લડાઈ ક્યારેય પૈસા વિશે હતી જ નહીં. તે ન્યાય અને આત્મસન્માન મેળવવા વિશેની લડાઈ હતી. મને ખુશી છે કે હું લડાઈ જીત્યો છું અને સત્યનો વિજય થયો છે’, તેમ એક્ટરે ઉમેર્યું હતું.
એક્ટરે ક્યારેય પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડવા પાછળના સ્પષ્ટ કારણનો ખુલાસો કર્યો નથી. સ્થિતિ કેવી રીતે વણસી તે તરફ ઈશારો કરતાં શૈલેષ લોઢાએ કહ્યું હતું કે ‘તેઓ ઈચ્છતા હતા કે હું મારા લેણાંની ચૂકવણી માટે કેટલાક ડોક્યુમેન્ટ્સ પર સહી કરું. તેમની પાસે કેટલીક શરતો હતી કે તમે મીડિયા સામે અમુક બાબતો વિશે વાત કરી શકો નહીં. મેં પણ નમતું મૂક્યું નહોતું. મારા પોતાના જ પૈસા મેળવવા માટે હું કોઈ ડોક્યુમેન્ટ પર કેમ સહી કરું?’.
વધુમાં, શૈલેષ લોઢાએ તેમની લડાઈએ જેઓ શોનો ભાગ હતા તેવા અન્ય કલાકારોને કઈ રીતે મદદ કરી તેના વિશે જણાવ્યું હતું. ‘હું તે એક્ટરનું નામ લેવા માગતો નથી, પરંતુ તેને ત્રણ વર્ષથી પેમેન્ટ મળ્યું નહોતું. મેં દાવો માંડ્યા બાદ, તેને પ્રોડક્શન હાઉસ તરફથી ફોન આવ્યો હતો અને ચૂકવણી કરવામાં આવી હતી. તેણે મને ફોન કરીને આ માટે આભાર માન્યો હતો’, તેમ એક્ટરની સાથે-સાથે જાણીતા કવિ અને લેખક તેવા શૈલેષે ઉમેર્યું હતું.
આસિત મોદીએ ખબરો અંગે શું કહ્યું હતું?
જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં જ્યારે શૈલેષ લોઢાને પેમેન્ટ ન ચૂકવ્યું હોવાની ખબર સામે આવી હતી ત્યારે આસિત મોદીએ કહ્યું હતું કે, કોઈની મહેનતના પૈસા રાખીને તેઓ શું કરશે? ભગવાને તેમને ઘણું આપ્યું છે. લોકોના પૈસા લીલાલહેર કરે તેવી વ્યક્તિમાંથી તેઓ નથી. કોઈ પણ કંપનીમાં પણ એક પ્રોસિઝર હોય છે, જે કર્મચારીએ પૂરી કરવી પડે છે. એક્ટરે તેમ કર્યું નથી. આ સાથે તેમણે શૈલેષ લોઢા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી અવારનવાર વ્યંગ કરતાં હોવા સામે દુઃખ વ્યક્ત કર્યું હતું.