જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા FEMAના કાયદાના ભંગને લગતા એક કેસમાં પૂછપરછ કરવામાં આવી છે. અનિલ અંબાણી આજે EDની ઓફિસ પર હાજર થયા હતા જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. અનિલ અંબાણી એ રિલાયન્સ ADA ગ્રૂપના ચેરમેન છે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના ભાઈ છે. તેમની સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999ના ભંગનો એક જૂનો કેસ છે જે મામલે તેમણે આજે ઈડી સમક્ષ ઉપસ્થિત થવું પડ્યું હતું.
રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani)ના અવસાનના થોડા વર્ષો પછી અનિલ અંબાણી અને મુકેશ અંબાણી (Mukesh Ambani) અલગ પડ્યા હતા અને તેમના બિઝનેસનું વિભાજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી મુકેશ અંબાણી એક પછી એક સફળતાના શિખર સર કરતા ગયા છે અને હાલમાં તેઓ ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગણાય છે, જ્યારે તેનાથી વિપરીત અનિલ અંબાણીએ તમામ ઉદ્યોગોમાં ભારે નુકસાન વેઠવું પડ્યું છે અને તેના કારણે તેઓ દેવાના ડુંગર નીચે દબાયેલા છે.