શું તમે પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેકશન ફોનથી કરતા હો તો સાવધાન થઇ જજો. ડેબિટ ક્રેડિટ કાર્ડ અને ઇ વોલેટથી મોબાઇલ ટ્રાન્ઝેકશનમાં છેતરપિંડીના કિસ્સા વધતાં સરકાર પણ ચિંતિત છે. ગૃહ મંત્રાલયે એ મુદ્દે ચિંતા વ્યકત કરતાં કહ્યું કે તમામ રાજ્યોએ આ પ્રકારના ક્રાઇમ રોકવા માટે કાર્યવાહી કરવી જોઇએ.ગૃહ મંત્રાલયે ઇન્ટેલિજન્સ બ્યૂરોને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવા માટે નોડલ એજન્સીની નિમણૂક કરી છે. એક સૂચનામાં ગૃહ મંત્રાલયે કહ્યું કે એવું ધ્યાનમાં આવ્યું છે કે મોબાઇલ ફોન અને ઇ વોલેટનો ઉપયોગ કરીને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેકશનમાં છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. આ પ્રકારની છેતરપિંડી કરનારા લોકો વિવિધ રીતે તેનો ઉપયોગ કરે છે. મંત્રાલયે કહ્યું કે સામાન્ય લોકો દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેકશન વધવાના કારણે ફોન છેતરપિંડી વધી છે. ખાસ કરીને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તેમજ ઇ વોલેટના ઉપયોગ દ્વારા છેતરપિંડીના કેસમાં વધારો થયો છે. મંત્રાલયનું કહેવું છે કે કેટલીક ઘટનાઓમાં લોકો જાતે ખોટી રીતે એટીએમ પિન અને ઓટીપી જણાવી દે છે અને છેતરપિંડીનો શિકાર બને છે. નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે મંત્રાલય આ પ્રકારના છેતરપિંડીના કેસથી ચિંતિત છે. મંત્રાલય હેઠળ ફોન છેતરપિંડી પર એક આંતરિક મંત્રાલય સમિતિની રચના કરવામાં આવી છે જે સમયે સમયે તેની સાથે જોડાયેલા વિવિધ પાસાઓની સમીક્ષા કરી રહેલ છે.
પાછલી પોસ્ટ