કર્ણાટકમાં ભાજપને હરાવ્યા બાદ કોંગ્રેસનું મનોબળ સાતમા આસમાને પહોંચી ગયું છે. કોંગ્રેસ હવે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને મિશન મોડ પર કામ કરી રહી છે. જોકે, કર્ણાટકની જીત બાદ કોંગ્રેસની અંદરથી કેટલાક અવાજો પણ આવવા લાગ્યા છે. આ અવાજ એ વાતનો સંકેત છે કે, પાર્ટી હવે એક મહિલા નેતૃત્વના સહારે લોકસભાના જંગમાં ઉતરવા ઈચ્છે છે. આ મહિલા છે, કોંગ્રેસના કદ્દાવર નેતા પ્રિયંકા ગાંધી. આ એ જ પ્રિયંકા ગાંધી છે, જેમણે કર્ણાટકમાં કેટલીક સભાઓમાં જ કોંગ્રેસના પક્ષમાં વાતાવરણ ઊભું કરી દીધું. કોંગ્રેસના ઘણા નેતા પણ કર્ણાટકની જીતનો શ્રેય રાહુલ કરતા વધુ પ્રિયંકાને જ આપી રહ્યા છે. કોંગ્રેસની અંદર જ નહીં કોંગ્રેસની બહાર પણ પ્રિયંકા ગાંધીની નેતૃત્વ ક્ષમતાની ભારે પ્રશંસા થઈ રહી છે.
રાજનીતિના જાણકારોનું કહેવું છે કે, કર્ણાટકમાં પ્રિયંકા ગાંધીએ જે રીતે પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ પર રાખી ચૂંટણી પ્રચાર કર્યો, તે સટિક નિશાના પર લાગ્યું અને અંધારામાં કૂવામાં ડૂબી રહેલી કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળ્યો. કોંગ્રેસના સીનિયર નેતા પણ પ્રિયંકાની પ્રતિભાથી સારી રીતે વાકેફ છે. એ જ કારણ છે કે, પાર્ટીની અંદરથી હવે પ્રિયંકાને 2024માં કોંગ્રેસના વડાપ્રધાન પદનો ચહેરો બનાવવાની માગ ઉઠવા લાગી છે. તેની શરૂઆત કોંગ્રેસના સીનિયર નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કરી છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, કોંગ્રેસ માટે પ્રિયંકા ગાંધી ઘણો મોટો ચહેરો છે, જેને નરેન્દ્ર મોદીની સામે 2024ની લોકસભા ચૂંટણીમાં લાવવો જોઈએ. તે જ મોદીને સીધી ટક્કર આપી શકે છે.