મીઠા વગર ખાવાનું ન બની શકે… કર્ણાટકની ચૂંટણીના એક્ઝિટ પોલ્સ પર ટિપ્પણીમાં જનતા દલ સેક્યુલર (JDS)ના નેતા તનવીર અહમદે આ રસપ્રદ વાત કરી છે. તેમણે એક ન્યૂઝ ચેનલ પર ડિબેટ દરમિયાન દાવો કર્યો કે, કોંગ્રેસ પાર્ટી હોય કે ભાજપ, કોઈને પણ ગમે તેટલી બેઠકો મળે, જેડીએસની મદદ વિના સરકાર તો નહીં જ બની શકે. તેમના આ દાવામાં દમ પણ દેખાઈ રહ્યો છે. મોટાભાગના સર્વેમાં સામે આવ્યું છે કે, કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ પાર્ટી ભાજપ પર ભારે પડતી જોવા મળી રહી છે, પરંતુ તે પોતાના દમ પર સત્તામાં આવી શકે તેમ નથી. ભાજપ તો પછડાઈ જ રહ્યો છે. એવામાં જેડીએસ સત્તાની ચાવી પોતાના હાથમાં આવવાની શક્યતા જોતા જ ખુશીથી ઝૂમી ઉઠી છે.
ભારતના રાજકારણમાં કેન્દ્રથી લઈને રાજ્યો સુધી ‘સત્તાની ચાવી’ મળવાનું સૌભાગ્ય નાના-નાના પક્ષોને મળતું રહ્યું છે. આ સંદર્ભમાં દિવંગત રામવિલાસ પાસવાનને યાદ કરવા તદ્દન પ્રાસંગિક છે. તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સામે જયપ્રકાશ નારાયણની ‘સંપૂર્ણ ક્રાંતિ’માંથી નીકળેલા આ કદાવર નેતાએ એ સ્થાન મેળવી લીધું હતું કે કેન્દ્રની લગભગ દરેક સરકારમાં તેમની પાર્ટી સહભાગી બનતી રહી અને તેઓ પોતે મંત્રી બનતા રહ્યા. ગઠબંધનની રાજનીતિના સમયમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ હોય કે કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ, રામવિલાસ પાસવાને બંને સરકારોમાં મંત્રી પદ મેળવ્યું. એ જ રીતે 2018ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ જેડીએસના હાથમાં સત્તાની ચાવી આવી હતી. આવું જ ફરી વખત થવાની શક્યતા એક્ઝિટ પોલ્સના આંકડા દર્શાવી રહ્યા છે.