અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આવેલી એક હોટલમાંથી સોમવારની સવારે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ 24 વર્ષીય યુવતી મૂળ મિઝોરમની છે અને નવરંગપુરામાં આવેલા એક સ્પા સેન્ટરમાં તે કામ કરતી હતી, એવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું કે, મિઝોરમના આઈઝોલમાં રહેતી રેબેકા લાલાવમપુઈ એસજી હાઈવે પરના થલતેજમાં આવેલી ક્રિષ્ના હોટલ પેલેસમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ યુવતી સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલા મિલેનિયમ સ્પા સેન્ટરમાં કામ કરતી હતી અને સ્પામાં જ મિઝોરમની અન્ય મહિલાઓ સાથે રહેતી હતી, એવું બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર અભિષેક ધવને જણાવ્યું હતું. મૃતક યુવતી ગઈ રવિવારની રાત્રે તેના ફ્રેન્ડ નિશાંત કંસારા સાથે હોટલમાં ગઈ હતી. આ શખસ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સત્તાધાર ચાર રસ્તા પાસે આવેલા મ્યુનિસિપલ કર્મચારીનગરમાં રહે છે.
પોલીસના જણાવ્યા મુજબ, મૃતક લાલાવમપુઈ તેની 26 વર્ષીય ફ્રેન્ડ લાલાવમપુઈ જોમિંગ્લિયાના પણ સાથે હતી. આ યુવતી પણ સ્પામાં કરે છે. તેની સાથે તેની રાફેલ નામની સહેલી પણ હતી. પોલીસ ઈન્સપેક્ટરે આગળ જણાવ્યું કે, સોમવારની સવારે 7.10 વાગ્યાની આસપાસ હોટલના એક કર્મચારીએ જોયું કે, લાલાવમપુઈનો રુમ નંબર 303નો દરવાજો ખુલ્લો હતો. જ્યારે તે અંદર ગયો તો જોયું કે તે નિર્જિવ હાલતમાં પડેલી હતી. જે બાદ તેણે પોલીસ કંટ્રોલ રુમને આ બનાવની જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક યુવતીના શરીર પર કોઈ પણ ઈજાના નિશાન જોવા મળ્યા નહોતા. તેણે ડ્રગ્સ લીધું હોય કે પછી ઝેર પીધુ હોય એવું પણ લાગી રહ્યું નહોતું. જ્યારે યુવતીનો મૃતદેહ મળ્યો ત્યારે કંસાર રુમમાં નહોતો. જે બાદ પોલીસે કંસારાની શોધખોળ આદરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હોટલના કર્મચારીએ તપાસ કરી રહેલી પોલીસને જણાવ્યું હતું કે, લાલાવમપુઈ અને તેના મિત્રો છેલ્લાં છ આઠ મહિનાથી વારંવાર હોટલમાં આવતા હતા. જેથી તે તેમને સારી રીતે ઓળખતો હતો.
એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસને હોટલના રુમમાંથી કોઈ માદક પદાર્થ કે દારુ મળ્યો નથી. પોલીસ દ્વારા મૃતક યુવતીના પરિવારને પણ જાણ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ઈન્સપેક્ટર અભિષેક ધવનના જણાવ્યા મુજબ, ડૉક્ટરની એક પેનલ દ્વારા મૃતક યુવતીનું પોસ્ટમોર્ટમ હાથ ધરાયુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.