તિબેટીયનોના ધાર્મિક વડા પ.પૂ. દલાઇ લામાને દાઉદી વોરા સમુદાયના વડા સૈયદના તાહેર ફખરૂદ્દીન સાહેબ દ્વારા કુત્બુદ્દીન હાર્મની પ્રાઇઝ આપીને સન્માનિત કરાયા છે. વિશ્વ શાંતિની અસાધારણ કામગીરી બદલ તેમને આ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૈયદના ફખરૂદ્દીને ભારત અને વિશ્વમાં અલગતાવાદી પરિબળો સામે એકસંપ થઇ લડવા જાહેર અનુરોધ કર્યો હતો. તો, દલાઇ લામાએ પણ સૈયદના તાહેર ફખરૂદ્દીનનો આ સન્માન બદલ ખાસ આભાર માન્યો હતો.
નવી દિલ્હી ખાતે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયેલા દલાઇ લામાના સન્માન સમારંભના કાર્યક્રમમાં જૈન નેતા પ.પૂ. આચાર્ય ડો. લોકેશ મુનિ, આર્ચ બિશપ અનિલ જોસેફ કોટો, દિલ્હી શીખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમીટીના અધ્યક્ષ સરદાર મનજીત સિંઘ જીકે, નવી દિલ્હીમાં યહુદી સમુદાયના વડા રબ્બી એઝિકેલ ઇસાક માલેકર, ગોર ગોપાલદાસ અને સુપ્રીમકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.કે.એહમદી સહિતના દિગ્ગજ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાઉદી વોરા સમુદાયના વડા સૈયદના તાહેર ફખરૂદ્દીન સાહેબ દ્વારા દલાઇ લામાને કુત્બુદ્દીન હાર્મની પ્રાઇઝ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાના સંબોધનમાં સૈયદના ફખરૂદ્દીને ઉપસ્થિત તમામ નેતાઓ અને મહાનુભાવોને ભારત અને વિશ્વમાં અલગતાવાદી પરિબળો સામે એકસંપ થઇ લડવા જાહેર અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે દલાઇ લામાએ સૈયદના તાહેર ફખરૂદ્દીનનો આ વિશેષ સન્માન બદલ ખાસ આભાર માની દેશને હકારાત્મક દિશામાં નેતૃત્વ પૂરૂ પાડવાના પ્રયાસ માટે સૈયદનાની ભારોભાર પ્રશંસા પણ કરી હતી.
આગળની પોસ્ટ