ગુરુવારના રોજ જર્મનીના હેમબર્ગમાં થયેલા ગોળીબારમાં અનેક લોકોનાં મોત થયા હોવાની આશંકા છે. જર્મન પોલીસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે અને તેમના જણાવ્યા મુજબ, આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઘટના ગુરુવારના રોજ સ્થાનિક સમય રાત્રે આઠ વાગે બની હતી. આ ગોળીબારમાં એકથી વધુ લોકો સામેલ હોઈ શકે છે. જો કે, પોલીસે એવું પણ કહ્યું છે કે, ઘટનાને અજાણ્યા હુમલાખોરોએ અંજામ આપ્યો હતો.
હેમબર્ગના જે ચર્ચમાં આ ઘટના બની છે તેને યહોવા વિટનેસ કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે, શંકાસ્પદનું પણ આ ઘટનામાં મોત નીપજ્યું છે. પોલીસ દ્વારા મૃત્યુને લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી. તો સ્થાનિક મીડિયાનું માનીએ તો છ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને મૃત્યુઆંક વધી શકે છે. હેમબર્ગ પોલીસે જણાવ્યું કે, આ ઘટના બાદ ઈમરજન્સી કોલ આવવાના શરુ થઈ ગયા હતા.
પોલીસના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું કે, ઓથોરિટી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે ચારેકોર લાશોનો ઢગલાં હતા. લાશો સિવાય કેટલાંક લોકો ઘાયલ અવસ્થામાં તડપી રહ્યા હતા. જે સમયે ઘટના બની ત્યારે ચર્ચમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જો કે, પોલીસે હજુ સુધી એ જાણકારી આપી નથી કે આ આતંકી ઘટના છે કે નહીં. પોલીસનું કહેવું છે કે, હજુ સુધી એ જાણી શકાયુ નથી કે આ ઘટનાને કેમ અંજામ આપવામાં આવ્યો છે. આ પાછળનો હેતુ જાણવા મળ્યો નથી.
ઘટના સ્થળેથી સામે આવેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે અનેક હથિયારબંધ પોલીસકર્મીઓ સેન્ટરની અંદર તૈનાત છે. એટલું જ નહીં હથિયારબંધ પોલીસકર્મીઓ હેલિકોપ્ટર દ્વારા પણ ચક્કર લગાવી રહ્યાં છે. આસપાસના તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી દેવામાં આવી છે. પોલીસે પણ સમગ્ર વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટે સલાહ આપી છે. પોલીસે આસપાસમાં રહેતાં લોકોને પણ ઘરની અંદર રહેવા માટે સલાહ આપી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી જર્મનીમાં આવા અનેક હુમલાઓ થયા છે અને તેને કટ્ટરપંથીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે.