ચારધામના યાત્રાળુઓની સંખ્યા આ વર્ષે પણ નવો રેકોર્ડ બનાવશે એવી શક્યતા ઉત્તરાખંડના ટૂરિઝમ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટરે વ્યક્ત કરી હતી. માત્ર બે જ દિવસમાં રજિસ્ટ્રેશનનો આંકડો ૬૧,૨૫૦ થયો હોવાથી આ અંદાજ બાંધવામાં આવ્યો હતો.
ચારધામની યાત્રાનો પ્રારંભ ૨૫મી એપ્રિલથી થશે. કેદારનાથ, બદ્રિનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રાના આરંભ પહેલાં ઉત્તરાખંડ સરકારે એનું રજિસ્ટ્રેશન શરૃ કર્યું હતું. માત્ર બે જ દિવસમાં આ આંકડો ૬૧ હજારને પાર પહોંચતા આ વર્ષે પણ નવો રેકોર્ડ સર્જાશે.
કોરોનાકાળમાં બે વર્ષ યાત્રા બંધ રહ્યા પછી ૨૦૨૨માં જ્યારે યાત્રા શરૃ થઈ ત્યારે ૪૭ લાખ શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રા કરી હતી. આ આંકડો આ વર્ષે વધે એવી શક્યતા છે. ૨૦૨૩માં ચારધામની યાત્રાનો નવો રેકોર્ડ સર્જાશે એવું ઉત્તરાખંડ ટૂરિઝમ વિભાગના અધિકારીએ કહ્યું હતું. જોશીમઠની સ્થિતિની સીધી અસર યાત્રા પર પડશે કે નહીં તે બાબતે ઉત્તરાખંડ સરકારના ટૂરિઝમ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર યોગેન્દ્ર ગંગવારને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે જોશીમઠની સ્થિતિ પર સરકારની નજર છે. પરંતુ તેની અસર ચારધામની યાત્રા પર પડશે નહીં. યાત્રાળુઓની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.
પાછલી પોસ્ટ