ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી) ના ભાવનગરના ડિવિઝનલ કન્ટ્રોલર ક્લાસ વનપોતાના સરકારી બંગલામાં ૫૦ હજાર રુપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. અશોક કેશવલાલ પરમાર નામના આ અધિકારીએ ઘરમાં બનિયાન અને શોર્ટ્સ પહેરેલી સ્થિતિમાં લાંચની રકમ સ્વીકારી તે સાથે જ એસીબી તેમના પર ત્રાટકી હતી, અને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર-મહુવા રુટ પર ચાલતી ખાનગી બસોને એસટી વિભાગ દ્વારા કોઈ હેરાનગતિ ના કરવા બદલ આરોપી દર મહિને ૫૦ હજાર રુપિયાનો હપ્તો લેતા હતા. આ મામલે તેમની સામે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ થતાં અધિકારીને ઝડપી લેવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાતા અશોક પરમારને ઝડપી લેવા માટે ખાનગી વ્યક્તિને ૫૦ હજાર રુપિયા કેશ સાથે તેમના સરકારી બંગલા પર મોકલવામાં આવ્યા હતા. ૧૨ સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે થયેલી કાર્યવાહીમાં આરોપી બનિયાન અને શોર્ટ્સ પહેરેલી હાલતમાં પોતાના ઘરે હતા અને તેમણે લાંચની રકમ સ્વીકારીને પોતાના ખિસ્સામાં મુકી તે સાથે જ એસીબીની ટીમ તેમના પર ત્રાટકી હતી અને તેમને લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. આ સમગ્ર ટ્રેપ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. પટેલ દ્વારા મદદનીશ નિયામક પી.આર. રાઠોડના સુપરવિઝનમાં કરવામાં આવી હતી.
એસીબીના જણાવ્યા અનુસાર, રાજ ટ્રાવેલ્સ નામથી ભાવનરગ-મહુવા રુટ પર પેસેન્જર બસ ચલાવતા વ્યક્તિએ પરમાર સામે ફરિયાદ કરી હતી. આરોપી ભાવનગર મહુવા રુટ ઉપરાંત, પાલિતાણા રુટ પર પણ ચાલતી પ્રાઈવેટ બસો તેમજ વાહનોના સંચાલકોને કનડગત ના થાય તે માટે ૫૦ હજાર રુપિયાનો દર મહિને હપ્તો લેતા હતા. ઉલ્લેખનીય છે કે, ખાનગી વાહનોને ફાયદો થાય તે રીતે એસટી વિભાગના અધિકારી દ્વારા તમામ ગોઠવણ કરીને તેના બદલામાં દર મહિને ૫૦ હજાર રુપિયાનો હપ્તો લેવાતો હોવાની આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે.
એસટી વિભાગ દર વર્ષે કરોડો રુપિયાની ખોટ કરે છે. વિભાગ પર એવા પણ આક્ષેપો થાય છે કે ઘણા રુટ પર ખાનગી વાહનોને ફાયદો થાય તે રીતે બસના ટાઈમિંગ ગોઠવવા ઉપરાંત, વિભાગ દ્વારા વાહન ચેકિંગ પણ કરવામાં પણ નથી આવતું, જેના બદલામાં ખાનગી બસોના સંચાલકો પાસેથી તગડી રકમ હપ્તાના સ્વરુપે પડાવાય છે.