ગુજરાતમાં બે મહિના બાદ વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ભાજપે તમામ ૧૮૨ બેઠકો જીતવા માટે કમર કસી છે. સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના કામો ઝડપથી થાય તેના માટેના આયોજનો કરીને ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થઈ રહ્યા છે. ત્યારે આવા કાર્યક્રમોમાં ખુદ ભાજપના જ કોર્પોરેટરો નિષ્ક્રિય થઈ ગયા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબિજના ઉદ્ઘાટનના વડાપ્રધાનના કાર્યક્રમમાં મોટાભાગના ભાજપના કોર્પોરેટરો હાજર ન રહેતા તેઓને શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતાઓ દ્વારા ખખડાવવામાં આવ્યા હતા અને શો કોઝ નોટીસ આપીને ત્રણ દિવસમાં ખુલાસો માંગ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના દંડક અરુણસિંહ રાજપુતે તમામ કોર્પોરેટરોને નોટિસ આપી હતી. નોટીસમાં જણાવ્યું હતું કે એએમસીમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ છો. ભાજપના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા પાર્ટીના અને કોર્પોરેશનના કાર્યક્રમમાં હાજર રહેવા માટે જણાવવામાં આવે છે છતાં પણ આવા કાર્યક્રમોમાં ગેરહાજર રહો છો. એ ગંભીર બાબત છે ૨૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના ફૂટ ઓવરબ્રિજ ઇ લોકાર્પણ કાર્યક્રમમાં અત્યારે એવા સૂચના આપવામાં આવી હતી પરંતુ મોટાભાગના કોર્પોરેટરો હાજર રહ્યાં ન હતા. જેની પાર્ટીના ઉચ્ચ પદ અધિકારીઓએ નોંધ લીધી છે. તમે કાર્યક્રમમાં હાજર હતા કે ગેરહાજર હતા અને જો ગેરહાજર હતા તો શા કારણે તે હાજર નહતા તેનો ત્રણ દિવસમાં ખુલાસો દંડક અરુણસિંહ રાજપૂતને આપવા જાણ કરવામાં આવી છે. કેટલાક કોર્પોરેટરોએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે પોતે ત્યાં આવ્યા હતા પરંતુ સિક્યુરિટીના કારણે અંદર પ્રવેશ મળ્યો ન હતો, પોતે આવી ગયા હતા પણ હાજરી રહી ગઈ હતી તેમ જણાવ્યું હતું. કોર્પોરેટરની નવી ટર્મને દોઢ વર્ષ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ હજી ભાજપના કોર્પોરેટરો પોતે નવા નિશાળીયા ની જેમ જ સાબિત થઈ રહ્યા છે. કેટલાક કોર્પોરેટરોને પોતાને ક્યાં જવાનું હતું તેનું પણ ખ્યાલ ન હતું તેવું સામે આવ્યું હતું. રિવરફ્રન્ટ પર ખાદીના કાર્યક્રમમાં કેટલાક કોર્પોરેટરો પહોંચી ગયા હતા.