કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, તેમના એક મિત્રએ કોંગ્રેસમાં જવાની સલાહ આપી હતી અને જેને તેમણે ફગાવી દીધી હતી. નિતિન ગડકરીએ રવિવારે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, મારા મિત્ર અને કોંગ્રેસના નેતા શ્રીકાંત જિચકરે મને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાની સલાહ આપી હતી.
તે સમયે મેં કહ્યું હતું કે, મારી વિચારધારા તેમની સાથે મેળ ખાતી નથી. હું કૂવામાં કૂદીશ પણ કોંગ્રેસમાં નહીં જોડાઈ શકું. નીતિન ગડકરીએ કહ્યું હતું કે, તે સમયની વાત અલગ છે જ્યારે હું વિદ્યાર્થી નેતા હતો અને ભાજપને ઘણીવાર હારનો સામનો કરવો પડ્યો હતો.
નીતિન ગડકરીએ કહ્યું હતું કે, જ્યારે તમને સફળતા મળે છે ત્યારે તમારી ખુશી તમારી જ હોય છે તો તેનો કોઈ અર્થ નથી. જો તમારી સફળતાની ખુશી તમારી સાથે કામ કરતા લોકોને પણ મળે તો તે શ્રેષ્ઠ હોય છે.
તેમણે કહ્યું હતું કે, વેપાર હોય કે રાજકારણ બંને માનવીય સંબંધોમાં મહત્વપૂર્ણ છે. ગડકરીએ વધુમાં કહ્યું હતું કે, પરિસ્થિતિ ગમે તેવી હોય, કોઈએ તેનો ઉપયોગ કરીને ફેકીં દેવું જોઈએ નહીં. રિચર્ડ નિકસનની એક વાતનો ઉલ્લેખ કરતાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ હારી જવાથી ખતમ નથી થતો પરંતુ મેદાન છોડવાથી ખતમ થઈ જાય છે.
તેથી આપણે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘમંડ અને આત્મવિશ્વાસ વચ્ચે શું તફાવત હોય છે.નીતિન ગડકરીએ કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો. જો આપણે પોતાના મિત્રોની સારી બાબતોને આપણા વ્યક્તિત્વનો ભાગ બનાવી શકીએ તો પોતાને સુધારી શકીએ છીએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ’કોઈએ પણ ’વાપરીને ફેકીં દેવાની’ રેસમાં સામેલ થવું જોઈએ નહીં. સારા દિવસો હોય કે ખરાબ દિવસો એકવાર તમે કોઈનો હાથ પકડો તો તેને પકડી રાખો. ઉગતા સૂર્યની પૂજા કરશો નહીં.’
તમને જણાવી દઈએ કે, નીતિન ગડકરી અવારનવાર પોતાના બેફામ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં ભાજપે સંસદીય બોર્ડનું પુનર્ગઠન કર્યું હતું જેમાં નીતિન ગડકરીનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો. આ ઘટનાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.
નીતિન ગડકરીની ગણના મોદી સરકારના સર્વશ્રેષ્ઠ પ્રધાન મંત્રીઓમાં થાય છે.
પાછલી પોસ્ટ