ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા આગામી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી સુધી પાર્ટીની કમાન સંભાળે તેવી શક્યતા જણાઈ રહી છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ પરંતુ પાર્ટી તેમને વધુ એક વર્ષ માટે જવાબદારી સોંપે તેવી શક્યતા જણાઈ રહી છે. સાથે જ તેમના પછી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તે પદ સોંપવામાં આવે તેવી અટકળો પણ લગાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી ૨૦૨૩માં જેપી નડ્ડાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.
એક અહેવાલ પ્રમાણે જેપી નડ્ડા ૨૦૨૪ સુધી પાર્ટીના પ્રમુખ બની રહે તેવી શક્યતા છે. આ પ્રકારની સંભાવનાઓ પાછળનું મુખ્ય કારણ એ છે કે, નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો ખૂબ જ સારા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ તેમને સારો સુમેળ છે. જોકે તેમને વધુ એક કાર્યકાળ માટે ફરી અધ્યક્ષ બનાવાશે કે નહીં તે હાલ સ્પષ્ટ નથી.
પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામે નડ્ડાની છબિ અને સંબંધો ખૂબ જ સારા છે. સાથે જ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી ખૂબ મહત્વની હોવાથી ત્રણેય વચ્ચેના તાલમેલને ખલેલ ન પહોંચાડવામાં આવે તેવી શક્યતા છે.
એક અહેવાલ પ્રમાણે પાર્ટીમાં હાલ ધર્મેન્દ્ર પ્રધાનના નામની પણ ચર્ચા ચાલી રહી છે. ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે તેથી પાર્ટીના અનેક લોકો પ્રધાનને ભાજપના નવા પ્રમુખ તરીકે જોઈ રહ્યા છે. નડ્ડા પહેલા અમિત શાહ ૨૦૧૪થી ૨૦૧૯ સુધી પાર્ટીના ચીફ હતા. જ્યારે ૨૦૨૦માં ફુલ ટાઈમ પદ સંભાળતા પહેલા નડ્ડા કાર્યકારી અધ્યક્ષ પદે હતા.
વર્ષ ૨૦૧૨માં થયેલા સંશોધન બાદ ભાજપમાં તમામ પાત્ર સદસ્યો સતત ૨ વખત અધ્યક્ષ પદ સંભાળી શકે છે. તેના પહેલા પાર્ટી પ્રમુખ એક કાર્યકાળ માટે જ બનાવાતા હતા. એવું કહેવાય છે કે, તત્કાલીન પાર્ટી અધ્યક્ષ નિતિન ગડકરીને ફરી કમાન સોંપવા માટે પાર્ટીના બંધારણમાં સંશોધન કરવામાં આવ્યા હતા.
આગળની પોસ્ટ