દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ માટે ખતરાનો અંત આવી રહ્યો નથી. ગુજરાત બાદ હવે બિહાર કોંગ્રેસમાં પણ કેટલાક ધારાસભ્યો નારાજ હોવાના હેવાલ મળી રહ્યા છે. બિહાર કોંગ્રેસ છાવણીમાં પણ નિરાશા અને હતાશા જોવા મળે છે. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પોતાની પાર્ટીના ધારાસભ્યોને એક રાખવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બિહારમાં હવે પાર્ટીના કેટલાક સભ્યો છેડો ફાડવાની તૈયારીમાં હોવાના હેવાલ મળ્યા છે. બિહારમાં હાલમાં કોંગ્રેસના ૨૭ એમએલએ છે. સુત્રોના કહેવા મુજબ આ સમય નવ જેટલા ધારાસભ્યો જેડીયુ અને ભાજપના ગઠબંધનની સંપર્કમાં હોવાના હેવાલ મળ્યા છે. વિશ્વસનીય સુત્રોએ કહ્યુ છે કે કેટલાક નેતા બિહારમાં ભાજપના કેટલાક મોટા નેતાના સંપર્કમાં છે. કેટલાક એવા ધારાસભ્યો પણ છે જે નવી સરકારની રચના બાદથી નીતીશ કુમારની પાર્ટી જેડીયુના સંપર્કમાં છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડી ચુક્યો છે. કારણ કે પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા પૈકી એક શંકરસિંહ વાઘેલા પાર્ટી સાથે છેડો ફાડી ચુક્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના છ ધારાસભ્યો પણ પાર્ટી સાથે છેડો ફાડી ચુક્યા છે. રાજ્યસભા ચૂંટણી સુધી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સંગઠિત રાખવા માટે કોંગ્રેસે તમામ ધારાસભ્યોને હાલમાં બેંગલોર મોકલી દીધા છે. જો કે તેમની દેખરેખ રાખી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી શિવકુમારના આવાસ પર ગઇકાલે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. જેથી પાર્ટીના નેતા ફરી હતાશ દેખાઇ રહ્યા છે. બિહારમાં કોંગ્રેસી ધારાસભ્યોને સંતોષ આપવા અને વિશ્વાસમાં રાખવાના તમામ પ્રયાસો હાલમાં કરવામાં આવી રહ્યા છે.
આગળની પોસ્ટ