અરવલ્લી જિલ્લાના 60 કેન્દ્રો પરથી 21,270 ઉમેદવારો આ પરીક્ષા આપશે
60 બિલ્ડિંગ અને 709 બ્લોકમાં આ પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ
સંપૂર્ણ સી.સી.ટી.વી. ના નિરીક્ષણ હેઠળ પરીક્ષા યોજાવાં તંત્ર સજ્જ
આગામી તા. 24 એપ્રિલ, 2022 ના રોજ સવારે 11.00 થી 13.00 કલાક સુધી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજનાર છે. અરવલ્લી જિલ્લાના 60 કેન્દ્રો પર યોજાનાર પરીક્ષાની તૈયારી અંગે ઉચ્ચ શિક્ષણ નિયામક એમ. નાગરાજન અધ્યક્ષતા અને જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં પરીક્ષા સંચાલન તથા તેની સાથે સુચારૂ વ્યવવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરીને આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેના પગલાઓની સમીક્ષા કરી હતી.બેઠકમાં પરીક્ષા માટેની એસ.ઓ.પી નું પાલન થાય તથા સંવેદનશીલ કેન્દ્રો પર વધુ ધ્યાન આપીને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લાના અધિકારીઓની સૂચના આપી હતી. વધુમાં તેમણે પરીક્ષા કેન્દ્ર અને તેની આસપાસ પણ સઘન નિગરાની રાખીને અસામાજિક તત્વો પરીક્ષામાં વિક્ષેપ ન પાડે તે માટે આવાં તત્વો પર અગાઉથી સઘન સર્વેલન્સ રાખવા પર ભાર મૂક્યો હતો.
પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્રના પ્રવેશ પર જ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મોબાઇલ કે કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ન પ્રવેશે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ સાથે તેમણે પરીક્ષાના સરળ સંચાલન માટે ગૌણ સેવા મંડળની પરવાનગી સિવાયનો પરીક્ષા સાથે સંકળાયેલ સ્ટાફને પણ પરીક્ષા કેન્દ્ર અને તેનાં પરિસરમાં મોબાઇલ કે કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે પ્રવેશે નહીં તે અંગેની કડક તપાસ કરવા અંગે સબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું.
આ સિવાય જિલ્લાના પ્રાંત અધિકારીઓ ફ્લાઇંગ સ્ક્વોડ સાથે વિવિધ પરીક્ષા કેન્દ્રોની નિગરાની રાખે તે પ્રકારની વ્યવસ્થા જિલ્લામાં કરવામાં આવી છે. આ ઉપરાંત શાળાના સ્ટાફને તેમની શાળાને બદલે અન્ય કેન્દ્ર પર પરીક્ષાની કામગીરી સોંપીને પરીક્ષાની ગોપનીયતા જળવાય અને શાંતિપૂર્વક પરીક્ષા યોજાય તે માટે જિલ્લા તંત્ર સજ્જ છે તેની માહિતી આપી હતી. આ બેઠકમાં દરેક કેન્દ્ર પર સી.સી.ટી.વી., એસ.ટી. બસની વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન વિજળીની વ્યવસ્થા, પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ સહિતના વિષયોની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં અરવલ્લી જિલ્લામાં 60 બિલ્ડિંગ અને 709 બ્લોકમાં 21,270 ઉમેદવારોની પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ ઉભી કરાઇ છે સુચારૂ પરીક્ષા વ્યવસ્થા માટે 18 રૂટ નિયત કરાયા છે. ઉલ્લેખનીય છે કે કુલ 60 પરીક્ષા કેન્દ્રો નિયત કરાયા છે તેમાં 17 જિલ્લાના મુખ્ય મથક, 17 તાલુકાના મુખ્ય મથકે અને 26 પરીક્ષા કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારમાં છે. પરીક્ષા માટે 60 પ્રતિનિધિ ગૌણ સેવા પરીક્ષા મંડળના, 60 તકેદારી સુપરવાઇઝર, 18 રૂટ સુપરવાઇઝર, 18 રૂટ કલાર્ક અને 60 કેન્દ્ર સંચાલકોનો સમાવેશ થાય છે.
પરીક્ષાને લઇને 598 પોલિસ બંદોબસ્ત
ડીવાયએસી – 2
P.S.I. – 6
પોલિસ કોન્સ્ટેબલ – 270
હોમગાર્ડ – 125
જી.આર.ડી. – 125
આ ઉપરાંત કલેક્ટરએ પરીક્ષા કેન્દ્ર પર પરવાનગી સિવાયની કોઇપણ વ્યક્તિ પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ સાથે પ્રવેશ કરે નહીં. પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ કે કોપીયર કેન્દ્રો ચાલું ન રહે તે માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતાં. આ બેઠકમાં આવનાર પરીક્ષા અંગેની કોઇ મુશ્કેલી કે ફરીયાદ હોય તો જિલ્લા પરીક્ષા કંન્ટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવેલ છે. જે કંટ્રોલ રૂમ તા,23 અને 24 દરમ્યાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રાખવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું.
પરીક્ષાને લઇને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાટ નિવાસી અધિક કલેક્ટર એન.ડી. પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી જે.એસ. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.ડી.પટેલ સહિતના પરીક્ષા સાથે સંકળાયેલાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.