ગુજરાત સરકાર દ્વારા ૩૧ માર્ચના રોજ વિધાનસભા સત્રમાં રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા અને શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુઓના માલિકને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બીલ પસાર કરવામાં આવ્યું છે. જે બીલ ને લઈને પાટડી માલધારી સમાજ દ્વારા આજે બેઠક બોલાવી મોટી સંખ્યામાં રેલી સ્વરુપે આ કાયદાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. અને આગેવાનોએ જણાવ્યું હતું કે આ કાયદો માત્ર માલધારી સમાજ પુરતો નથી પરંતુ કોઈપણ સમાજના માણસો માલ ઢોર રાખતા હોય તે સર્વે ને લાગુ પડે છે માટે આવનાર સમયમાં માલ ઢોર રાખતા તમામ લોકોને સાથે લઈને ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ કરસુ. અને જો સરકાર દ્વારા આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો ગુજરાતભરમાં ડેરીઓમાં ભરવામાં આવતું દૂધ પણ બંધ કરવામાં આવશે એમ પણ જણાવ્યું હતું. પાટડી મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો ગુજરાત ભરના માલઢોર માલિકો પોતાના ઢોર લઇને તમામ સરકારી કચેરીઓમાં ભરી દેશે. આ તમામ ઢોર ને રાખવાની જવાબદારી સરકારી કચેરીઓની રહેશે એક તરફ ગાયને માતા કહી આજે એ જ માતા માટે લાયસન્સનો કાયદો ઘડનાર આ ભાજપ સરકાર બે મોઢાની વાતો કરી રહી છે. જેને માલધારી સમાજ સાંખી લેશે નહીં અને જરૂર પડ્યે ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.