આ વખતની ચૂંટણીમાં મેદાન મારવા દરેક પક્ષ અનોખા નુસખા અજમાવી રહ્યા છે. રાજકોટમાં ભાજપે સરકારી મિલકતોની દીવાલ પર કમળ અભિયાનનો પ્રારંભ કર્યો છે. દીવાલ પર કમળ દોરવામાં નેતાઓ પણ હાથ અજમાવી રહ્યા છે. ભાજપના કમળ અભિયાનનો આમ આદમી પાર્ટી(AAP) દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ શિવલાલ બારસિયાએ જણાવ્યું હતું કે અમે પણ દીવાલ પર ઝાડુ દોરીશું.શિવલાલ બારસિયાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારી મિલકતોની ઇમારતોની દીવાલ પર સત્તાધારી પક્ષ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને પોતાની પાર્ટીનું ચિહન અને સ્લોગન દોર્યાં છે. ત્યારે અમે પ્રદેશમાંથી સૂચના આવશે એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું. જે દીવાલ પર સત્તાધારી પક્ષે પોતાનું ચિહન અને સ્લોગન દોર્યાં છે એ અંગે મંજૂરી લીધી હશે તો અમે પણ ઝાડુ દોરવા મંજૂરી લઇશું. તેમણે મંજૂરી નહીં લીધી હોય તો અમે પણ મંજૂરી લઈશું નહીં, કારણ કે લોકશાહી છે, લોકશાહીમાં ટ્રેન, બસ કેમ કોમન છે એ બધાએ ઉપયોગ કરવાનો હોય છે. સરકારી મિલકતો હશે અને સત્તાધારી પાર્ટીએ ઉપયોગ કર્યો તો એને ડિમડેનોસી કહેવાય, જે અમને મળી ગઇ છે. તે લોકોએ જેમ કર્યું છે એમ અમારે કરવાનું છે.ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પહેલાં યોગી આદિત્યનાથે વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોરની ફ્રન્ટ (રોડ) સાઇટને કેસરી રંગથી રંગાવી નાખી હતી. એનું અનુકરણ રાજકોટ ભાજપે શરૂ કર્યું છે અને શહેરની તમામ સરકારી, અર્ધસરકારી ઇમારતો, ઓવરબ્રિજ, અન્ડરબ્રિજની દીવાલો, વીજપોલ્સ, ટેલિફોનના થાંભલા સહિત લગભગ તમામ જાહેર મિલકતોને પણ ભારતીય જનતા પાર્ટીના ‘કમળ બ્રાન્ડ’ ચિત્રોથી રંગી નાખવા માટે સાપ્તાહિક અભિયાન શરૂ કર્યું છે. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાનને લઈ સ્વાભાવિક જ નવો વિવાદ ઊઠ્યો છે.