Aapnu Gujarat
ગુજરાત

સનાથલથી ૧૬.૩૯ લાખનો વિદેશી દારૂ કબજે

ગુજરાતમાં દારૂબંધીનો નવો કડક કાયદો બન્યા છતાં બુટલેગર દારૂની હેરફેર કરવામાં સહેજ પણ નરમ પડ્‌યા નથી. ગત મોડી રાત્રે સનાથલ હાઇવે પર પીસીબીની ટીમે હરિયાણાથી ટ્રકમાં આવતા ૧૬.૩૯ લાખ રૂપિયાના દારૂના જંગી જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી છે. પીસીબીની ટીમે ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. બનાવને પગલે બુટલેગર તત્વોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. પીસીબીને બાતમી મળી હતી કે, હરિયાણાથી એક ટ્રકમાં દારૂનો જંગી જથ્થો અમદાવાદ એસ.પી.રિંગરોડથી સનાથલ હાઇવે થઇને રાજકોટ જવાનો છે. બાતમીના આધારે પીસીબીની અલગ અલગ ટીમ બનાવીને એસ.પી.રિંગરોડ તેમજ સનાથલ ચોકડી પર વોચમાં હતા ત્યારે હરિયાણા પાસિંગની એક ટ્રકને રોકી હતી. પીસીબીની ટીમે ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂ જથ્થો મળી આવ્યો હતો. દારૂને લઇને આવતા હરિયાણાના ઇમરાનખાન મેઉ તેમજ મુબારિક મેઉની પીસીબીની ટીમે ધરપકડ કરી હતી. પીસીબીની ટીમે ટ્રકમાંથી ૧૬.૩૯ લાખ રૂપિયાની કિંમતનો ૫૦૦૨ દારૂની બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો. જયારે દસ લાખ રૂપિયાની ટ્રક કબજે કરીને સરખેજ પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર, ક્લીનર તેમજ ઠેકેદાર અને બુટલેગર વિરુદ્ધમાં ફરિયાદ નોંધી હતી. પીસીબીની પૂછપરછમાં ડ્રાઇવર ઇમરાનખાને જણાવ્યું હતું કે, આ ઇંગ્લીશ દારૂ રાજકોટના બુટલેગરને પહોચાડવાનું હરિયાણાના ઠેકેદારે કહ્યું હતું. પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ બન્ને જણાની પૂછપરછ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પીસીબીના પીએસઆઇ સી.એમ.ચુડાસમાએ જણાવ્યું છે કે દારૂ ભરેલી ટ્રક હરિયાણાથી રાજસ્થાનના ઉદયપુર ખાતે આવી હતી ત્યાંથી આ ટ્રક રતનપુર બોર્ડર ક્રોસ કરીને શામળાજીથી અમદાવાદ આવી હતી. પીસીબીને બાતમી મળી હતી કે દારૂ ભરેલી ટ્રક રતનપુર બોર્ડરથી આવવાની છે. જેથી તેઓ મોડી રાત્રે વોચમાં હતા. સનાથલ ચોકડી પાસે ટ્રક આવતાં પીસીબીએ તેનો પર્દાફાશ કર્યો છે. ડ્રાઇવર અને ક્લીનર પાસેથી રાજકોટની ચિઠ્ઠી મળી છે જેથી આ દારૂનો જથ્થો રાજકોટમાં ઊતરવાનો હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. ડ્રાઇવર અને ક્લીનરને હરિયાણા તેમજ રાજસ્થાનના ઠેકેદાર કોણ છે તેની જાણ નથી અને રાજકોટ કે પછી ક્યા શહેરમાં દારૂ ઠલવવાનો છે તેની જાણ નથી. જો કે, હવે પોલીસ રાજકોટ સહિતના સ્થળોએ તપાસનો દોર આગળ ધપાવશે. પીસીબીએ દારૂના જંગી જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી તેમની પાસે બુટલેગર અને ઠેકેદારના નંબર હતા તેમનાં નામ શું છે તેનાથી પણ તે અજાણ છે. હાલ તો આ કેસમાં સરખેજ પોલીસે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને બુટલેગર અને ઠેકેદાર સુધી પહોંચવાં માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

Related posts

આજથી કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની બેઠકોનો દોર શરૂ 

aapnugujarat

ગુજરાત વિધાનસભા ચુંટણીની રણનીતિ ધડવા આમ આદમી પાર્ટીની દિલ્હીમાં બેઠક

aapnugujarat

ખેડૂતની આવક બમણી કરવા કેન્દ્ર પૂર્ણ કટિબદ્ધ છે : રૂપાલા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1