નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ રાજ્યમા વધી રહેલી અશાંતિ અને હિંસમાં પાકિસ્તાનની ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, દરેક ઘટના માટે તમામ દોષનો ટોપલો પાકિસ્તાન પર નાંખી દેવામાં આવ છે. કાશ્મીર ખીણમાં હિંસા અને અસ્થિરતા પાકિસ્તાન દ્વારા પેદા કરવામાં આવી નથી.સત્તારુઢ પીડીપી પર નિશાન સાધતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, કેટલીક પાર્ટીઓ પોતાની જવાબદારીથી બચી રહી છે અને તેને કારણે સમસ્યા પેદા થઈ રહી છે. નવી દિલ્હીમાં કાશ્મીર પર આયોજિત એક સંગોષ્ઠિમાં સંબોધન કરતા નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, તેઓ પ્રાદેશિક પાર્ટી હોવાની મર્યાદાઓને સમજે છે. પરંતુ સમસ્યા મતદાતાઓને લોભાવવા માટે કરાતી વાયદાઓની લ્હાણીથી પેદા થઈ રહી છે. આ વાયદા પુરા કરવાની પક્ષોની શક્તિ નથી. પાકિસ્તાનને જવાબદાર ઠેરવી દેવું લોકપ્રિય ગતકડું છે. ૨૦૦૮, ૨૦૧૦ અને ૨૦૧૬ની ઘટનાઓ પાછળ પાકિસ્તાનની ભૂમિકા નથી.તેમણે એમ પણ કહ્યું કે, પીડિપીએ ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં વાયદો કર્યો હતો કે તેઓ કેન્દ્ર સરકાર અને હુર્રિયત કોન્ફરન્સ વચ્ચે બિનશરતી ધોરણે વાટાઘાટો શરૂ કરાવશે. પરંતુ પીડીપી-ભાજપ ગઠબંધને પોતાનો વાયદો પુરો કર્યો નથી. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પીડીપીએ ભારત અને પાકિસતાન વચ્ચે શાંતિ સ્થાપિત કરાવવાનો અને કેન્દ્ર તથા ભાગલાવાદીઓ વચ્ચે વાતચીતની પહેલ કરાવવા જેવા વાયદા પુરા કર્યા નથી. જેના કારણે રાજ્યમાં મુખ્યધારાના રાજનેતાઓની વિશ્વસનીયતા ઘટી છે.
આગળની પોસ્ટ