શહેરમાં છેલ્લા એક માસથી સતત વરસાદ બાદ વરસાદના વિરામની વચ્ચે મેલેરીયા,ડેન્ગ્યુ,પાણીજન્ય એવા ઝાડા-ઉલટી સહીતના રોગોએ માથુ ઉચકતા વિવિધ રોગના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાવા પામ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલમાં જ રોજના ૧૫૦૦ થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર લેવા માટે આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં ગત ૨૫ જુનથી વરસાદના આરંભ બાદ એક માસ પછી હાલ વરસાદે વિરામ લીધો છે.મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરમાં સફાઈ કરવાની સાથે જંતુનાશક દવાઓ અને ફોગીંગ કરવામાં આવી રહ્યુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે એવા સમયે હકીકત એ છે કે,શહેરમાં વરસાદના વિરામ છતાં ભેજવાળુ વાતાવરણ છે.આ વાતાવરણને લઈને શહેરમાં મેલેરીયા ઉપરાંત શરદી,કફ અને ખાંસી સહીત ડેન્ગ્યુ,ટાઈફોઈડ સહીત ઝાડા-ઉલ્ટીના કેસોમાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે.એક માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોની વાત કરવામાં આવે તો મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં હાલની પરિસ્થિતિમાં રોજ વિવિધ વિભાગોમાં સારવાર લેવા માટે ૧૫૦૦ થી વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા હોવાનું એલ.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાજેશ શાહે કહ્યુ છે.સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં આવતા પ્રદુષિત પાણીને લઈને ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડ તેમજ કમળા જેવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.બીજી તરફ અમદાવાદ શહેરમાં કાર્યરત ૧૦૮ સેવાના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં ૧૦ દિવસમાં ઝાડા-ઉલ્ટીના કુલ મળીને ૩૩૦૦ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા દરેક વખતે એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે,શહેરમાં રોગચાળાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે જે આંકડા જાહેર કરવામાં આવે છે તેમાં પણ રમત રમાતી હોઈ શહેરના રોગચાળાની સાચી પરિસ્થિતિ બહાર આવવા પામતી નથી.શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૦ દિવસમાં તાવ,ઉધરસ સહીત ઝાડા ઉલ્ટીના કેસોની સંખ્યા વધીને ૧૫૦૦ ઉપર પહોંચી છે.અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાનગી હોસ્પિટલો, દવાખાનાઓમાં પણ વિવિધ રોગના દર્દીઓની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે. રોગચાળાને લઇને વિવિધ પગલા તંત્ર દ્વારા હાલમાં લેવામાં આવી રહ્યા છે.