મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત બનેલા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા અને થરાની મુલાકાત લઇ મૃતકોના પરિવારજનો અને અસરગ્રસ્તોને મળીને ખબર અંતર પુછ્યા હતા. સાથે સાથે મૃતકોન શ્રદ્ધાંજલિ આપી આપત્તિના કપરા સમયમાં સરકાર તેમની સાથે હોવાનો વિશ્વાસ આપ્યો હતો. ખારિયા પહોંચીને રૂપાણીએ બોટમાં બેસીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
અસરગ્રસ્તો સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રીએ કબૂલાત કરી હતી કે, છેલ્લા ૧૦૦ વર્ષમાં ન જોયુ હોય તેવું પુર તાંડવ બનાસકાંઠામાં આ વર્ષે કમનસીબે આવ્યું હતું. રાજ્ય સરકારે અગમચેતીના પગલાઓ લઇને લોકોને સાવધાન કર્યા હતા. મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. પરિણામે મોટી દુર્ઘટના નિવારી શકાય છે. રૂપાણીએ કહ્યું હતું કે, પુરની સ્થિતિમાં તાકીદે એનડીઆરએફ, આર્મીના હેલિકોપ્ટરો, વહીવટીતંત્ર સહિતના તમામ લોકો યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી જેના પરિણામ સ્વરુપે ૮૦૦૦થી પણ વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અસરગ્રસ્તોને ઝડપથી સહાયતા આપવા અને જિલ્લામાં પુર્વવત પરિસ્થિતિના નિર્માણ માટે સચિવો સાથે પાંચ દિવસ મુખ્યમંત્રી બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં રોકાશે. પુરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિને સામાન્ય બનાવવા જે ખર્ચ કરવો પડે તે કરવામાં આવશે. કોઇ કચાસ રાખવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતનો સ્વભાવ રહ્યો છે કે, આપત્તિનો મક્કમ મુકાબલો કરીને નવું સર્જન કરવું. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લામાં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ભૂકંપથી વિનાશ પામેલો કચ્છ જિલ્લો રાજ્ય સરકારના વિરાટ પ્રયાસોથી આજે વિકાસનું મોડલ બન્યું છે. રૂપાણીએ મોદી પુરગ્રસ્ત વિસ્તારોની ચિંતા કરી સતત માહિતી મેળવી રહ્યા છે. પરિસ્થિતિને સામાન્ય બનાવવા માર્ગદર્શન પણ આપતા રહે છે. બનાસકાંઠા જેવું હતું તેના કરતા સવાયું બનાવવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શંકર ચૌધરીએ કહ્યું હતું કે, પુરપીડિતોને સહાય કરવા રૂપાણી સંકટના સમયમાં ત્રીજી વખત બનાસકાંઠા આવ્યા છે. પાંચ દિવસ સુધી પુરગ્રસ્ત વિસ્તારોમાં રહીને રાહત કામગીરી વેગવંતી બનાવવામાં આવશે. ૩૨ મૃતકોના વારસદારોને પ્રત્યેકને છ છ લાખ રૂપિયા પ્રમાણે ૧.૯૨ કરોડની સહાયતાના ચેક વારસદારોને આપવામાં આવી ચુક્યા છે. ભવિષ્યમાં કોઇ તકલીફ ન પડે તેવા લાંબા ગાળાનું આયોજન કરીને ભાવિ કામગીરી હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીએ પુરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજની મુલાકાત લીધી ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ રહ્યા હતા. બીજી બાજુ ધોળકા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ૪૦થી વધુ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઇને ચુડાસમાએ સાત્વંના આપી હતી. સાથે સાથે મૃતક પરિવારને ચાર લાખની મૃત્યુ સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં અતિવૃષ્ટિ અને પુરના કારણે ભારે નુકસાન થયું છે. ગુજરાતના બનાસકાઠા, પાટણ અને ચોટીલા વિસ્તારમાં અતિવૃષ્ટિ થઇ હોવા છતાં રાજ્ય સરકારના આગોતરા આયોજન, સજાગતા અને સતર્ક પગલાના કારણે ઓછામાં ઓછી જાનહાની થઇ છે.
અતિવૃષ્ટિના સમયમાં લાખો લોકોનુ સ્થળાંતરણ કરવામાં આવ્યુ છે. મહેસુલી વિભાગના અગ્ર સચિવ પંકજ કુમાર દ્વારા યોદ્ધના ધોરણે ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીની વિગત પુરી પાડી હતી. તેમણે કહ્યુ હતુ કે એનડીઆરએફની ૩૨ ટીમો, હવાઇ દળન૧ ૧૭ હેલિકોપ્ટર્સ અને આર્મીની પાંચ કોલમ તૈનાત કરવામા આવી છે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં હવે તબીબો અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ પણ પહોંચી ગયા છે. સૌથી અસરગ્રસ્ત એવા બનાસકાંઠા, પાટણ જિલ્લામાં હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજારો લોકોને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બચાવી લેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ગામોમાં વિજ પુરવઠો પુનઃ સ્થાપિત કરી દેવામાં આવ્યો છે.