નક્સલીઓ વિરુદ્ધ નક્કર કાર્યવાહી ઉપરાંત રાજ્યો વચ્ચે સમન્વય, રાજ્ય ગુપ્તચર શાખાઓ અને રાજ્યોની વિશેષ ટુકડીઓની ક્ષમતા નિર્માણ, મજબૂત પોલીસ સ્ટેશનોના નિર્માણ પર ચર્ચા કરાઈ હતી. ગૃહમંત્રીએ મુખ્યમંત્રીઓ અને અધિકારીઓ સાથે સુરક્ષા સ્થિતિ અને માઓવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનો અને નક્સલગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમિક્ષા કરી હતી. શાહે રાજ્યોની જરૂરિયાતો, ઉગ્રવાદીઓનો સામનો કરવા માટે નિયુક્ત દળોની સંખ્યા, નક્સલ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, પૂલો, સ્કૂલ અને સ્વાસ્થ્ય કેન્દ્રોના નિર્માણ જેવા વિકાસ કાર્યોની સમિક્ષા કરી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં નક્સલીઓ વિરુદ્ધ અભિયાન તીવ્ર કરવા અને તેમને મળતા ભંડોળનો પ્રવાહ રોકવા જેવા બે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં છ મુખ્યમંત્રીઓ અને અન્ય ચાર રાજ્યોના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. દેશમાં ૨૦૧૫થી ૨૦૨૦માં નક્લગ્રસ્ત જિલ્લાઓ ઘટીને ૪૫ થયા હતા. લગભગ ત્રણ કલાક ચાલેલી આ બેઠક દરમિયાન માઓવાદીઓના ટોચના સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી, સુરક્ષામાં રહેલી અછત પૂરવા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને રાજ્ય પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં ભાગ લેનારા મુખ્યમંત્રીઓમાં ઓડિશાના નવીન પટનાયક, તેલંગાણાના કે. ચંદ્રશેખર રાવ, બિહારના નીતિશ કુમાર, મધ્ય પ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે અને ઝારખંડના હેમંત સોરેનનો સમાવેશ થાય છે. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, છત્તીસગઢના ભૂપેશ બઘેલ, આંધ્ર પ્રદેશના કે.વાય.એસ. જગનમોહન રેડ્ડી અને કેરળના સીએમ પિનારાઈ વિજયને ભાગ લીધો નહોતો. તેમની જગ્યાએ આ રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી તેમાં રસ્તાઓના બાંધકામમાં ગતિ લાવવી, નક્સલગ્રસ્ત ક્ષેત્રોમાં છેલ્લા પાંચ વર્ષોમાં ખરાબ નેટવર્ક ઝોનમાં મોબાઈલ ટાવરોને અપગ્રેડ કરીને ટેલિકોમ નેટવર્કમાં સુધારો કરવા અને વધુ મોબાઈલ ટાવર લગાવવાના અભિયાનનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના આંકડા મુજબ દેશમાં માઓવાદી હિંસામાં ઘણો ઘટાડો આવ્યો છે. હાલ માઓવાદીઓનું પ્રભુત્વ ૯૦ જિલ્લાથી ઘટીને ૪૫ જિલ્લાઓ સુધી મર્યાદિત થઈ ગયું છે. વર્ષ ૨૦૧૫થી ૨૦૨૦ સુધીમાં ડાબેરી ઉગ્રવાદગ્રસ્ત ક્ષેત્રોમાં વિવિધ હિંસામાં ૩૮૦ સુરક્ષા કર્મચારીઓ, ૧,૦૦૦ નાગરિકો અને ૯૦૦ નક્સલીઓ માર્યા ગયા હતા. આંકડાઓ મુજબ આ સમયમાં કુલ ૪,૨૦૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું.
આગળની પોસ્ટ