વિનોદ મકવાણા, મહેસાણા
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીની ભારે ધામધૂમ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
આ પાવન પર્વ નિમિત્તે મહેસાણા સ્થિત સૈકા ગાયકવાડી સિધ્ધિ વિનાયક મંદિર ખાતે દર વર્ષે સરકારના પોલીસ વિભાગ દ્વારા ગાડૅ ઑફ ઑનર દ્વારા સલામી આપીને અનોખી રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. જે અનુસાર આજે વરસતા વરસાદ વચ્ચે હિન્દુ ધર્મના અધિપતિ દેવતા શ્રી ગજાનંદ ગણપતિ મહારાજને આદર અને શ્રધ્ધા પૂર્વક સલામી આપવામાં આવી હતી. આ વર્ષે ખાસ મહિલા પોલીસ ટીમ દ્વારા સલામી આપવામાં આવતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું.
મહેસાણા શહેરના મધ્યમાં ફુવારા સકૅલ સામે આવેલ આ મંદિરની સ્થાપના માટે ૧૧૦ વષૅ પૂર્વે ૧૯૧૧ માં અખાડાના મહંતશ્રી નિરંજનદાસ મહારાજ દ્રારા જમીન ખરીદવામાં આવી હતી અને ૧૯૧૭ માં આ મંદિરનુ બાંધકામ પૂર્ણ થયું હતુ. જ્યાં ૧૯૨૧ માં સયાજીરાવ ગાયકવાડ આ પવિત્ર મંદિરના દશૅને પધારતા તેમના દ્રારા ગાર્ડ ઓફ ઓનર ની પ્રથા ચાલુ કરવામાં આવી હતી, જે આજ દિન સુધી જળવાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં ગાડૅ ઑફ ઑનર દ્વારા સલામી આપવામાં આવતી હોય તેવું આ એક માત્ર ગણપતિ મંદિર છે.
આ ઐતિહાસિક મંદિર ખાતે જમણી સુંઢના ગણેશજીની મૂર્તિ અહીંના ભાવિક ભક્તો માટે વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવે છે. આજના ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે મહેસાણાના નગરજનો દ્વારા ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી.