વિરમગામના નાનીકુમાદ ગામમાં કડી-કલ્યાણપુર ગામનું ઉપરવાસનું વરસાદી પાણી આવતાં ગામલોકો મુશ્કેલીમાં મૂકાયા છે, ત્યારે નાનીકુમાદ ગામમાં ૫૦ થી વઘુ ઘરોમાં પાણી ભરાઇ રહેતાં અમુક લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની ફરજ પડી હતી. મુખ્ય માર્ગ પરનું ગરનાળું પણ તોડી પડાયું છે જેથી આ વરસાદી પાણીનો નિકાલ થઇ શકે ત્યારે બીજીબાજુ નાનીકુમાદથી વિરમગામ આવવા માટેનાં રસ્તા પર પાણી ભરાતાં રસ્તો બંઘ કરી દેવાયો છે. ભારે વરસાદ લીઘે દેત્રોજના અશોકનગર અને કાંત્રોડી ગામમાં ઢીંચણ સમા પાણી ભરાયાં છે અને અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસતા લોકો લોકો પરેશાન થયા છે અને તેમજ અનેક જર્જરિત મકાનો પણ ઘરાશાયી થયા છે. ગામલોકોને ગામ બહાર નીકળી જવાની ફરજ પડી હતી. છેલ્લાં ઘણાં સમયથી વિરમગામ શહેરમાં હાથી તલાવડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રહીશોએ અનેકવાર રજુઆત છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં ન ભરાતાં આખરે સ્થાનિક મહિલાઓ અને રહીશોએ પાણીના નિકાલ માટે જાત મહેનતે ટેડાંસર તળાવ તોડી પાણી નિકાલ ની વ્યવસ્થા કરી હતી. બીજીબાજુ વિરમગામ શહેર-તાલુકા માં છેલ્લાં પાંચ દિવસોથી વઘુ વરસાદી વાતાવરણ વચ્ચે મકાનો ઘરાશયી થવાનો સિલસિલો યથાવત છે. આજરોજ વહેલી સવારે વિરમગામ શહેરના નાના પરકોટા વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થઇ હતી, સંઘવી ફળીમાંપણ જુનવાણી મકાન ઘરાશયી થયું હતું,હાથી તલાવડી વિસ્તારમાં પાંચ મકાનો તેમજ તાલુકાના નળકાંઠાના , કમીજલા ગામમાં ૪૦ જેટલા નાનાં-મોટા મકાનો, શાહપુર ગામમાં ૧૦ ,ઉપરાંત વણી ગામમાં બે મકાનો ઘરાશયી થયાં હતાં. ઉલ્લેખનીય છે કે મકાન ઘરાશયી થતાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)