ઉત્તર ગુજરાતમાં વરસી રહેલા વરસાદે તેનું જોર ઘટાડ્યું છે. છતાં વરસાદી માહોલ હજુ પણ અકબંધ રહ્યો છે. રાજ્યમાં ૯૫ તાલુકાઓમાં આજે નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં હિંમતનગરમાં આઠ ઇંચ, અમીરગઢમાં છ ઇંચ, ધાનેરામાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાત રાજ્યનો કુલ વરસાદનો આંકડો ૬૮.૫૨ ટકા સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં ૧૦૪.૦૮ ટકા વરસાદ નોંધાયો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કચ્છ પ્રદેશમાં ૭૬.૮૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૦૪.૦૮ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૧.૬૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૨.૪૪ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૨.૪૬ ટકા જેટલો વરસાદ હજુ સુધી નોંધાઈ ચુક્યો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ૨૧૯ મીમી એટલે કે આઠ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં ૧૫૦ મીમી એટલે કે છ ઇંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે. ધાનેરા તાલુકામાં ૧૩૯ મીમી એટલે કે, ૫ ઇંચથી વધુ વરસાદ થઇ ચુક્યો છે. દાતા તાલુકામાં ૧૦૪ મીમી, ડિસામાં ૧૧૯ મીમી, દિયોદરમાં ૧૦૬ મીમી, વિજાપુરમાં ૧૦૯ મીમી, પ્રાંતિજમાં ૧૧૧ મીમી, ધનસુરામાં ૧૦૯ મીમી, મોડાસામાં ૧૧૩ મીમી, તિલકવાડામાં ૧૦૬ મીમી જેટલો વરસાદ થયો છે. કુલ નવ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ થઇ ચુક્યોછે. આ ઉપરાંત કુલ ૧૭ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. રાજ્યના હારીજ, પાટણ, રાધનપુર સહિતના વિસ્તારોને ગણીને કુલ ૨૪ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી વધુ ૪૬૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બે હેલિકોપ્ટર, એનડીઆરએફની ચાર ટીમો, બીએસએફની બે ટીમો અને સેનાની બે ટુકડી પાટણમાં પણ તૈનાત કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં મોનસુનના પરિણામ સ્વરુપે મોતનો આંકડો વધીને ૧૨૩ ઉપર પહોંચી ચુક્યો છે. ૫૦૦૦૦ લોકોને હજુ સુધી બચાવાયા છે. બનાસ નદીના કિનારેથી ૧૭ના મૃતદેહ મળી આવ્યા છે.
પાછલી પોસ્ટ