પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે ફરી એકવાર ભારતીય મુસ્લિમોને ઉશ્કેરવાની પોતાની કોશિશમાં અલ-કલમ મેગેઝીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પઠાનકોટ હુમલાના માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરે લખ્યુ છે કે ભારતમાં જેટલા પણ ઓપરેશન થયા છે તેને તેની ફાઈલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આતંકવાદી અઝહર મસૂદે લખ્યું છે કે નિયંત્રણ, ષડયંત્ર, ફાંસી જેવી બાબતો મુસ્લિમોને ડરાવી શકશે નહીં. ભારત અને કાશ્મીરમાં મુસ્લિમો પરના અત્યાચારને જોઈને તેના દિલમાં આગ લાગે છે. અઝહર મસૂદે કહ્યુ છે કે અસલી નેતા આવી જશે તો ત્રણ દિવસમાં પાઠ ભણાવી દેવાશે. પઠાનકોટ, નગરૌટા, ગુરુદાસપુર અને અખનૂર હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ છે. અઝહર મસૂદે ભીડ દ્વારા થઈ રહેલી હત્યાના મામલાનો પણ પોતાની કોલમમાં ઉલ્લેખ કર્યો છે. આતંકવાદી અઝહર મસૂદને પાકિસ્તાનની સ્થિતિની ચિંતા નથી પણ તેને ભારતની સ્થિતિ બગડેલી અને અસહનીય લાગી રહી છે.