દલિતનો મુદ્દો ઉખેડી બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા માયાવતીએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યાં બાદ, દલિતના મુદ્દે રાજકારણ કરવામાં પોતાની તમામ શક્તિ લગાડી રહ્યાં છે. દેશના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ રામનાથ કોવિંદે પાર્લામેન્ટ હાઉસ સ્થિત ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ ન આપતાં, માયાવતીએ એનડીએ પર નિશાન સાધ્યું છે. માયાવતીએ કહ્યું કે આ વાત જ એનડીએની દલિત વિરોધી માનસિકતા ઉજાગર કરે છે. માયાવતીએ વધુમાં કહ્યું કે “કોવિંદે જે રીતે મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલિ અર્પી તેવી જ રીતે રાષ્ટ્રપતિના શપથ બાદ પાર્લામેન્ટમાં આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વંદન કરવાની જરૂર હતી.”
આ ઉપરાંત માયાવતીએ વડાપ્રધાન મોદીની ગુજરાત પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પર નિશાન સાધ્યું હતું અને તેઓ ગુજરાતના સીએમ નહીં પરંતુ ભારતના પીએમ છે તેમ કહ્યું હતું.બસપા અધ્યક્ષા માયાવતીએ કહ્યું કે, “ મને યોગ્ય લાગ્યું હોત જો કોવિંદજી રાજઘાટની મુલાકાતને બદલે પાર્લામેન્ટ સ્થિત બી.આર.આંબેડકરની પ્રતિમાને અંજલિ આપી હોત. આ વાત જ એનડીએની આંબેડકર વિરોધી વાતને પૂરવાર કરે છે.”માયાવતીએ પીએમ નરેન્દ્ર મોદીની ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતને લઈને પણ નિશાન સાધ્યું હતું. માયાવતીએ કહ્યું કે, “ પીએ મોદી ગુજરાતના સીએમ નથી પરંતુ ભારતના વડાપ્રધાન છે. અન્ય રાજ્યોમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેઓએ તમામ રાજ્યોને એકસરખી મદદ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.” માયાવતીએ પીએમ પર ત્યારે નિશાન સાધ્યું જ્યારે તેઓએ ગુજરાતના પૂરગ્રસ્ત જિલ્લા બનાસકાંઠા અને પાટણનું હવાઈ નિરીક્ષણ કર્યુ. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવાર સવારે પાર્લામેન્ટ હાઉસમાં મુલાકાત કરી, ગુજરાતમાં પૂરની સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા. જે બાદ પીએમ મોદીએ ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરવાનું નક્કી કર્યુ હતું.