રામનાથ કોવિંદે આજે દેશના ૧૪માં રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા હતા. ચીફ જસ્ટીસ જેએસ ખેહરે કોવિંદને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ વિધી બાદ પ્રણવ મુખર્જી અને કોવિંદે ખુરશી બદલી હતી. ત્યારબાદ ૨૧ તોપની સલામી આપવામાં આવી હતી. શપથ વિધી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને અન્ય તમામ મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. શપથવિધી બાદ સેન્ટ્રલ હોલમાં નવા રાષ્ટ્રપતિએ સંબોધન કર્યુ હતુ. કોવિન્દે પોતાનુ ભાષણ હિન્દીમાં આપ્યુ હતુ. કોવિંદે પોતાના સંબોધનમાં પોતાની કેરિયરને લઇને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દરેક પડકારો છતાં અમારા દેશમાં બંધારણની પ્રસ્તાવનામાં ઉલ્લેખીત ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મૂળ મંત્રનું પાલન કરવામાં આવેછે. તેમણે કહ્યું હતુ ંકે, તેઓ મહાન રાષ્ટ્રના ૧૨૫ કરોડ લોકોને નમન કરે છે. તેઓ હવે રાધાકૃષ્ણન, એપીજે અબ્દુલ કલામ, પ્રણવ મુખર્જી જેવી વિભુતિઓના માર્ગ ઉપર આગળ વધવા જઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બાબા સાહેબ ભીમરામ આંબેડકરે માનવીય ગરિમા અને લોકશાહી મૂલ્યોનું સંચાર કર્યું હતું. અમે એક એવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે જેમાં આર્થિક નેતૃત્વની સાથે સાથે નૈતિક આદર્શ પણ રજૂ કરવામાં આવે. આ બંને માપદંડ જુદા જુદા હોઈ શકે નહીં. એક તરફ ગ્રામ્ય પંચાયત સ્તર પર સામૂદાયિક ભાવનાથી વિચાર વિમર્શ કરીને સમસ્યાઓને ઉકેલવાની દિશામાં આગળ વધવું પડશે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતની માટી અને પાણી ઉપર અમને ગર્વ છે. દેશના દરેક નાગરિક રાષ્ટ્રના નિર્માતા તરીકે છે. દેશની સરહદોની રક્ષા કરવા માટે અને સુરક્ષિત રાખનાર સુરક્ષા દળો રાષ્ટ્રના નિર્માતા તરીકે છે. પોલીસ અને અર્ધલશ્કરી દળો જે ત્રાસવાદ અને અપરાધિઓ સામે લડી રહ્યા છેતેઓ રાષ્ટ્રના નિર્માતા છે. ખેડૂત રાષ્ટ્રના નિર્માતા છે. એક રાષ્ટ્ર તરીકે ભારતે અનેક સિદ્ધિઓ હાસલ કરી છે. કોવિન્દે રાષ્ટ્રપતિપદનો હોદ્દો સોંપી દેવામાં આવ્યા બાદ તમામનો આભાર માન્યો હતો. તેમણે કહ્યુ હતુ કે સેન્ટ્રલ હોલમાં આવ્યા બાદ તમામ યાદો તાજી થઇ ગઇ છે. એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે ૨૦મી જુલાઇના દિવસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારણા પ્રમાણે જ જોરદાર સપાટો બોલાવ્યો હતો. કોવિન્દે ૨૫મી જુલાઇના દિવસે એટલે કે આજે દેશના ૧૪માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. કોવિંદે યુપીએના ઉમેદવાર મીરા કુમારન ૩૪.૩૫ ટકા મતથી હાર આપી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતી ગયા બાદ રામનાથ કોવિંદે કહ્યુ હતુ કે તેઓ તેમને ટેકો અન સમર્થન આપવા માટે તમામનો આભાર માને છે. ૧૭મી જુલાઇના દિવસે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયુ હતુ. મતગણતરીની પ્રક્રિયા ૨૦મી જુલાઇના દિવસે યોજાઇ હતી. આખરે ધારણા પ્રમાણે જ કોવિંદે બાજી મારી હતી. નવા રાષ્ટ્રપતિ ચૂંટી કાઢવા માટે આશરે ૯૯ ટકા મતદાન થયુ હતુ. મતગણતરીમાં કોવિંદને ૬૫.૬૫ ટકા મત મળ્યા હતા. જ્યારે યુપીએના ઉમેદવાર મીરા કુમારને ૩૪.૩૫ ટકા મત મળ્યા હતા.અત્રે નોંધનીય છે કે, દેશના ૧૪માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ૧૭મી જુલાઈના દિવસે સાનુકુળ વાતાવરણમાં મતદાન યોજાયું હતું. આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષના ઉમેદવાર મીરાકુમાર વચ્ચે સીધી સ્પર્ધા હતી.૨૦૧૨માં છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રણવ મુખર્જીએ પીએ સાંગ્માને હાર આપી હતી અને ૬૯ ટકાથી વધારે મત મેળવ્યા હતા.