વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે થયેલા પરાજય છતાં દેશના લોકોનું દીલ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું બીસીસીઆઇ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ અંગેના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ભારતીય મહિલા ટીમ બુધવારે અલગ-અલગ ગ્રુપમાં ભારત પહોંચશે. જો કે હજી સુધી બીસીસીઆઇ દ્વારા સન્માન અંગેની તારીખ નક્કી કરવામાં આવી નથી. આ અંગેની તારીખ ખેલાડીઓની ઉપલબ્ધતા પ્રમાણે કરવામાં આવશે. આ અવસર ઉપર દરેક ખેલાડીઓને ૫૦-૫૦ લાખનો ચેક તેમજ સહયોગી સ્ટાફને ૨૫-૨૫ લાખનો ચેક આપવામાં આવશે.
એક મળતાં અહેવાલ પ્રમાણે બીસીસીઆઇ દ્વારા યોજવામાં આવનારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા ટીમ ભલે ફાઇનલ હારી ગઇ હોય પરંતુ તેમના પ્રદર્શન દ્વારા દેશને ગૌરવાન્વિત કર્યું છે. બીસીસીઆઇ દ્વારા ટીમના સન્માનને લઇને એક કાર્યક્રમનું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખેલાડીઓની મુલાકાત કરાવામાં આવે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે.