એડમિરાલીટી (જયુરીસડિકશન એન્ડ સેટલમેન્ટ ઓફ મરીન ક્લેઇમસ) બીલ-૨૦૧૭ને રાજયસભામાં રજુ કરતાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવેલ હતું કે, દેશ પાસે ૭૫૧૬.૬ કી.મી. જેટલો દરિયાકાંઠો છે. શીપીંગ ઇન્ડસ્ટ્રીઝ વિકસાવવાની ખૂબ મોટી સંભાવના છે ત્યારે અંગ્રેજોના જમાનાના કાયદાનો અંત આણી વૈશ્વિક જોગવાઇઓ સમાવતો નવો કાયદો બનાવવો ખૂબ જ જરૂરી બનેલ છે. આ બીલ જયારે કાયદા તરીકે અમલમાં આવશે ત્યારે શીપીંગ ઉદ્યોગને ઘણી સરળતા મળશે તથા વિકાસના દ્વાર ખુલશે અને આ સાથે જ ભારતમાં ‘આધુનિક શીપીંગ ઉદ્યોગ’ ના પગરણ મંડાશે.
રાજયસભામાં વધુ માહિતી આપતાં મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવેલ કે, દેશમાં દરિયાકાંઠે આવેલ રાજયમાંથી માત્ર ૪ રાજ્યની અદાલતો પાસે જ એડમીરાલીટી ક્લેઈમ અંગે કેસ ચલાવવાની સત્તા છે, જેથી કાયદાકિય પ્રકીયા માટે લોકોએ લાંબા અંતરે ધક્કા ખાવા પડે છે. આ કાયદાથી અમે દેશના દરિયાકાંઠે આવેલ તમામ રાજ્યોની કોર્ટને કેસ ચલાવવાની સત્તા આપીશુ. જુદા જુદા ૫ જેટલા કાયદાઓ જે ૧૨૬ થી ૧૭૭ વર્ષ જેટલા જુના છે, તે રદ કરી એક કાયદો બનાવીશુ આ નવા કાયદા અંતર્ગત માલિક, મુસાફરો, સંચાલકો, શીપ પર કામ કરતા કર્મચારીઓ વિગેરેને સમયમર્યાદામાં અકસ્માત દાવા મળી રહે, ગેરકાયદે ધરપકડને અટકાવવી વિગેરે અંગે મહત્વની જોગવાઈઓ રાખવામાં આવેલી છે તથા આવા ક્લેઇમનો વ્યાપ પણ વધારેલ છે. આમ, શીપીંગ ઉદ્યોગ ક્ષેત્રે વૈશ્વિક પ્રવાહોને સાંકળી લેતુ આધુનિક બીલ હોવા અંગે જણાવેલ. ગુજરાત ૧૬૦૦ કી.મી. જેટલો દરિયાકાંઠો ધરાવે છે અને શીપીંગ ઉદ્યોગના વિકાસની તમામ શક્યતા રહેલી છે. આ રીતે કાયદાકીય સરળીકરણ થતા ગુજરાતના શીપીંગ ઉધોગને પણ નવો પ્રાણવાયુ આપનાર સાબિત થશે. રાજયસભામાં ચર્ચાવિચારણાને અંતે આ કાયદો સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.