અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સઘન સુરક્ષા વચ્ચે જારી છે. આજે ૧૧૪૧ શ્રદ્ધાળુઓની નવી ટુકડી અમરનાથ દર્શન માટે વહેલી સવારે રવાના થઇ હતી. કાશ્મીર ખીણ માટે ૪૬ વાહનોમાં આ તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. વહેલી પરોઢે ૨.૫૦ વાગે શ્રદ્ધાળુઓ ભગવતીનગર યાત્રી નિવાસથી રવાના થયા હતા. સુરક્ષા પગલાના ભાગરુપે ૩.૩૦ વાગ્યા બાદ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર સ્થિત જવાહર ટનેલથી આગળ વધવા કોઇપણ શ્રદ્ધાળુઓની બસને મંજુરી આપવામાં આવશે નહીં પહેલગામ અને બલતાલમાં કેમ્પ ઉપર શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત પહેલા પહોંચી જાય તેની ખાતરી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ૭.૩૦ વાગ્યા બાદ હાઈવે ઉપર તમામ યાત્રી સંબંધિત સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓને સુરક્ષા આપવા માટે સેના, સીઆરપીએફ, સશસ્ત્ર સીમા બળ, ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ અને રાજ્ય પોલીસના ૩૫૦૦૦ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.આ વર્ષે હજુ સુધી બે લાખથી વધારે શ્રદ્ધાળુઓ અમરનાથમાં દર્શન કરી ચુક્યા છે.
અત્રે નોંધનીય છે કે, છે કે હાલમાં ગુજરાતના અમરનાથ શ્રદ્ધાળુઓની બસ પર ત્રાસવાદી હુમલો કરાયો હતો જેમાં છ મહિલા સહિત સાત ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ૩૨ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અમરનાથ ગુફાના દર્શન કરીને શ્રદ્ધાળુ પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરાયો હતો.ગુજરાત રજિસ્ટ્રેશન નંબરની બસ બાલતાલથી જમ્મુ તરફ આવી રહી હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, અમરનાથ યાત્રાના કાફલાના ભાગરુપે આ બસ ન હતી. ગુજરાતી શ્રદ્ધાળુઓની યાત્રીઓની જીજે-૦૯-ઝેડ-૯૯૭૬ નંબરની બસ એકલી પરત ફરી રહી હતી. સાંજે ચાર વાગે શ્રદ્ધાળુઓનો કાફલો પરત આવી રહ્યો હતો. ત્યારે રાત્ર આ હુમલો કરાયો હતો. આ અગાઉ ૨૦૦૨માં પહેલગામમાં અમરનાથ યાત્રાળુઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૭ શ્રદ્ધાળુ સહિત ૨૭ના મોત થયા હતા. છેલ્લા ૧૮ વર્ષમાં ૫ ત્રાસવાદી હુમલા અરમનાથ યાત્રીઓ ઉપર થયા છે. ૪૦ દિવસ સુધી અમરનાથ યાત્રા ચાલનાર છે. અમરનાથ યાત્રા ૨૯મી જુનના દિવસે શરૂ થઇ હતી. હવે તે રક્ષા બંધનના દિવસે એટલે કે સાતમી ઓગષ્ટના દિવસે પૂર્ણ થશે. અમરનાથ યાત્રા બે રૂટ પરથી આગળ વધે છે. જે પૈકી એક પહેલગામ બેઝ કેમ્પથી ૪૬ કિલોમીટર લાંબા માઉન્ટેન ટ્રેકથી જારી રહે છે. જ્યારે અન્ય બલતાલ બેઝ કેમ્પથી ૧૪ કિલોમીટર લાંબા ટ્રેક મારફતે ચાલે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ