પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી અંગે ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન કુરૈશીએ કલમ ૩૭૦ને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી પાકિસ્તાન કલમ ૩૭૦ નાબૂદીનો વિરોધ કરતું હતું પરંતુ કલમ ૩૭૦ નાબૂદીના ૨૧ મહિના બાદ મહમૂદ કુરૈશીએ સાર્વજનિક રીતે તેને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે.કેન્દ્ર સરકારે ૫ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ જમ્મુ કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ ૩૭૦ નાબૂદ કરી હતી. સાથે જ જમ્મુ કાશ્મરીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી દીધું હતું અને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધા હતા. જો કે, જમ્મુ કાશ્મીરને વિધાનસભાવાળું કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી.જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદીનો પાકિસ્તાન દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ આના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. જો કે, હવે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કલમ ૩૭૦ નાબૂદીને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે.
ઈન્ટરવ્યુમાં મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે, ’૩૭૦ નાબૂદી ભારતનો આંતરિક મુદ્દો છે. ત્યાંની સુપ્રીમ કોર્ટ આ મુદ્દે સુનાવણી પણ કરી રહી છે. તેને પડકારવામાં આવ્યો છે. કાશ્મીરમાં જે પણ પગલા ભરવામાં આવ્યા છે તેની આકરી પ્રતિક્રિયા થઈ છે. ભલે તે ૩૭૦ સ્વરૂપે હોય કે ૩૫એના. એક બહુ મોટો સમૂહ એવું માને છે કે, આ પગલાઓથી હિંદુસ્તાને ગુમાવ્યું વધારે છે અને મેળવ્યું ઓછું છે.તેમના કહેવા પ્રમાણે તેઓ ૩૭૦ને વધારે મહત્વ નથી આપતા પરંતુ તેમને ૩૫એથી મુશ્કેલી છે. કારણ કે, તેનાથી કાશ્મીરની ભૂગોળ અને વસ્તીનું સંતુલન બદલવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.કુરૈશીએ જણાવ્યું કે, બંને દેશો વચ્ચે વાતચીત સિવાય કોઈ રસ્તો નથી. બંને પરમાણુ શક્તિથી સંપન્ન દેશો છે. તેમના પોતાના મુદ્દાઓ છે. જેને આજે, કાલે કે પરમદિવસે ઉકેલવા પડશે. તેમને ઉકેલવાનો રસ્તો શું છે? યુદ્ધ એ ઓપ્શન નથી. યુદ્ધ તો આત્મહત્યા બની શકે છે. અને જો યુદ્ધ ઓપ્શન ન હોય તો વાતચીત એ ઓપ્શન છે. જો વાતચીત ઓપ્શન છે તો બેસીને મુદ્દાઓ ઉકેલી શકાય છે.
આગળની પોસ્ટ