બિહારમાં છેલ્લા કેટલાક સમયથી આરજેડી અનેક વિવાદોનો સામનો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીએ બિહારના આરોગ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવનું ધારાસભ્યપદ રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરી છે, જેમાં તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ એવી રજૂઆત કરી છે કે તેજપ્રતાપ યાદવે ચૂંટણીપંચને રજૂ કરેલા સોગંદનામામાં સાચી વિગતો દર્શાવી નથી.રાજદના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ અને તેમનાં પરિવારજનો પર સતત ભ્રષ્ટાચારના આક્ષેપ કરનારા સુશીલ મોદીએ ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી વખતે તેજપ્રતાપ યાદવે જે સોગંદનામું રજૂ કર્યું હતું તેમાં સાચા પુરાવા રજૂ કર્યા ન હતા, તેમાં તેમણે ઔરંગાબાદની તેમની જમીનનો ઉલ્લેખ કર્યો ન હતો. તેથી તેમનું ધારાસભ્યપદ રદ કરી દેવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેજપ્રતાપે ૨૦૧૦માં ઔરંગાબાદમાં ૫૩ લાખની જમીન ખરીદી હતી. આ જમીન પર લારા ડિસ્ટ્રિબ્યુશનનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં હાલ હીરો હોન્ડાનો શો-રૂમ ચાલે છે. તે અંગે તેમણે જાણી જોઈને તેમના સોગંદનામામાં આ વિગત દર્શાવી નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેજપ્રતાપ યાદવે આ માટે ૨.૨૯ કરોડની લોન પણ લીધી છે.મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ રીતે ખોટું સોગંદનામું રજૂ કરવું એ માત્ર અપરાધિક કૃત્ય જ નહિ, પણ એક ભ્રષ્ટ આચરણ સમાન બાબત છે.
આગળની પોસ્ટ