સોશિયલ મીડિયા પર અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સમુદાય પર કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કે વાત કરનાર શખ્સ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ શકે છે. દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે એસસી કે એસટી સમુદાયની કોઈ વ્યક્તિ વિરુદ્ધ સોશિયલ મીડિયા એટલે સુધી કે ગ્રૂપમાં ચેટ દરમિયાન જો કોઈ અપમાનજનક કોમેન્ટ કે વાત કરવામાં આવશે તો તે શિક્ષાપાત્ર ગુનો બનશે.દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે એસસી અને એસટી (અત્યાચાર નિવારણ) એક્ટ ૧૯૮૯ આ સમુદાયના લોકો સામે સોશિયલ મીડિયા પર કરવામાં આવતી જ્ઞાતિવાદી કોમેન્ટ્સને પણ લાગુ પડશે. અદાલતે એક ફેસબુક પોસ્ટને લઈ થયેલી અરજીની સુનાવણી દરમિયાન કરી હતી. આ કાયદાના દાયરામાં વોટ્સએપ ચેટ પણ આવી જાય છે.જસ્ટિસ બિપિન સાંઘીએ જણાવ્યું હતું કે ફેસબુક યુઝર પોતાના સેટિંગને પ્રાઈવેટથી પબ્લિક કરે છે અને તેથી તેની વોલ પર લખવામાં આવેલી વાતો માત્ર તેના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ લોકો જ નહીં, પરંતુ ફેસબુક યુઝર્સ પણ જોઈ શકે છે, જોકે કોઈ અપમાનજનક કોમેન્ટને પોસ્ટ કર્યા બાદ પ્રાઈવસી સેટિંગને પબ્લિક કરી દેવામાં આવે છે તો પણ તેને એસસી/એસટી એક્ટની કલમ-૩ (૧) (એક્સ) હેઠળ સજાપાત્ર માનવામાં આવશે.