ગુજરાતના વડનગર રેલવે સ્ટેશન પર જે ચાની દુકાન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નાનપણમાં ચા વેચતા હતા એ દુકાનને હવે કેન્દ્ર સરકાર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે. સંસ્કૃતિ અને પ્રવાસન પ્રધાન મહેશ શર્માએ જણાવ્યું હતું કે વડનગર રેલવે સ્ટેશનની અંદર એક નાનકડી ચાની દુકાન છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની શરૂઆત આ ચાની દુકાનથી કરી હતી.અમે એવું ઈચ્છીએ છીએ કે આ ચાની દુકાનને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરને દુનિયાના નકશા પર લાવવાની એક વ્યાપક યોજના હેઠળ ચાની આ દુકાનને પ્રવાસન સ્થળમાં તબદિલ કરવામાં આવશે. આ અગાઉ અમદાવાદના ડિવિઝનલ મેનેજર દિનેશકુમારે જણાવ્યું હતું કે વડનગર રેલવે સ્ટેશન અને મહેસાણા જિલ્લાના અન્ય ભાગોને વિકસાવવા માટે રૂ. ૧૦૦ કરોડ ખર્ચવામાં આવશે. મહેશ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે પ્રવાસન મંત્રાલય અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના અધિકારીઓએ વડનગરનો પ્રવાસ કર્યો હતો.અધિકારીઓની એક ટીમનું નેતૃત્વ સંસ્કૃતિ પ્રધાન મહેશ શર્માએ સંભાળ્યું હતું. મહેશ શર્માએ પાછળથી તેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે વડનગર રેલવે સ્ટેશનને ડેવલપ કરવાનો પ્લાન છે, પરંતુ ખાસ કરીને તેનું અસલ સૌંદર્ય જાળવી રાખવામાં આવશે. આમ, જે ટી સ્ટોલ પર મોદી કામ કરતા હતા તે ટી સ્ટોલની સજાવટ કરવાની કોઈ યોજના નથી, પરંતુ તેનું અસલી સૌંદર્ય જાળવી રાખવામાં આવશે. મહેશ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે વડનગર આપણા વડા પ્રધાનનું જન્મસ્થળ હોવા ઉપરાંત એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ પણ છે. અહીં શર્મિષ્ઠા સરોવર અને એક સ્ટેપવેલ પણ છે. એએસઆઈને તાજેતરમાં તેના ખનન દરમિયાન બૌદ્ધમઠના અવશેષો મળ્યા હતા. ઉત્ખનનકાર્ય હજુ પણ જારી છે.