નોવેલ કોરોના વાયરસને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં આવતા પોઝીટીવ કેસોના કોન્ટેકટ ટ્રેસિંગ થાય એ જરૂરી હોઇ જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ કોન્ટેકટ ટ્રેસિંગ કમિટીની રચના કરી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. છોટાઉદેપુરમાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. પોઝીટીવ કેસોના કોન્ટેકટર ટ્રેસ થાય તો આ રોગને ફેલાવાને નિયંત્રિત કરી શકાય એ માટે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા સમાહર્તા સુજલ મયાત્રાએ કોન્ટેકટર ટ્રેસિંગ કમિટીની રચના કરી છે.
જિલ્લા કલેકટર દ્વારા રચવામાં આવેલી કોન્ટેકટ ટ્રેસિંગ કમિટીના અધ્યક્ષ તરીકે સંબંધિત પ્રાંત અધિકારી, છોટાઉદેપુર ડિવીઝન કચેરીના નાયબ પોલીસ અધિક્ષક સભ્ય, સભ્ય સચિવ તરીકે સંબંધિત તાલુકા મામલતદાર, સંબંધિત તાલુકાના પી.આઇ/પી.એસ.આઇ સભ્ય, સંબંધિત તાલુકા વિકાસ અધિકારી સભ્ય, તાલુકા હેલ્થ ઓફિસર, એપીડેમિક મેડીકલ ઓફિસર, સદ્દામભાઇ એમ. મકરાણી અને વકારભાઇ સૈયદ સભ્ય અને સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સભ્ય તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.
આ કોન્ટેકટ ટ્રેસિંગ કમિટીએ પાછલા દિવસોની પોઝીટીવ પેશન્ટની હિસ્ટ્રી, પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવેલ વ્યક્તિઓની માહિતી તથા સંપર્કની વિગતો મેળવીને તમામ માહિતીનું સંકલન કરી તાત્કાલિક રિપોર્ટ કલેકટરને સોંપવાનો રહેશે એમ જિલ્લા કલેકટર તફથી જણાવાયું છે.
ઇમરાન સિંધી..પાવીજેતપુર