રાજપીપળાના ૫૦ વર્ષીય ઇકબાલ દીવાને જીવનું જોખમ ખેડી લગભગ ૩૫ જેટલા લોકોના જીવ બચાવ્યા હતાં. આ સાહસિકતા ભર્યા કામની કદર ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળે કરી તેઓને શ્રી પુરાણી ચંદ્રક પારિતોષિક એનાયત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પોતાના જીવના જોખમે ઈકબાલ દિવાને ૩૫ લોકોને ડૂબતા બચાવ્યા છે.
રાજપીપળાના સિંધીવાડ ખાતે રહેતા ઇકબાલ દીવાન ઉર્ફે ગટુક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ઈકબાને તરવાનું વારસામાં મળ્યું છે, એમના પિતા પણ સારા એવા તરવૈયા હતા, તેઓએ પણ પોતાના જીવનમાં ઘણાં લોકોને ડૂબતા બચાવ્યા છે. ગત વર્ષે રાજપીપળાના કસ્બાવાડ વિસ્તારમાં લગ્ન હતા જેમાં ભરૂચથી એક વૃદ્ધ પોતાના પરિવાર સાથે આવ્યા હતા. હવે એ વૃદ્ધ અને એક ૧૦ વર્ષની અને બીજી ૧૨ વર્ષની એમ બે બાળકીઓ પરિવાર સાથે સરકારી ઓવરા પર ફરવા ગયા. પાણીમાં છબછબીયા કરતા ૧૦ વર્ષીય બાળકી પાણીમાં પડી અને ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગી, એને બચાવવા ૧૨ વર્ષીય બાળકી પડી એની પાછળ એ વૃદ્ધ પણ પડ્યા. એ ત્રણેય પાણીમાં ડૂબવા લાગ્યા, બુમા બુમ થવા લાગી તો ઇકબાલ દિવાન ત્યાં જ હાજર હતાં, તેઓએ પોતાના જીવની જરા પણ પરવા કર્યા વિના પાણીમાં કૂદી એક પછી એક એમ ત્રણેયને હેમખેમ જીવતા બહાર કાઢ્યા. આવા તો ઈકબાલે ૩૦ થી ૩૫ લોકોને પોતાના જીવના જોખમે ડુબતા બચાવ્યા છે.ઇકબાલની આ સાહસિકતા ભરી કામગીરીની કદર ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળે કરી અને શ્રી પુરાણી ચંદ્રક પારિતોષિક એનાયત કર્યું છે. ઉપરાંત ઈકબાલની આ સિદ્ધિને રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મૂંતઝીર ખાને બિરદાવી અને ઈકબાલને ૧૦૦૦ રૂપિયા રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતાં. ઈકબાલની મર્દાનગી ભરી સાહસિક કામગીરીને આજે જિલ્લાવાસીઓ પણ બિરદાવી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ